
રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવક મહોત્સવના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવક મહોત્સવ- અવસર પંચમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા મહોત્સવમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ચાપરડા ખાતેના શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત યુવક મહોત્સવમાં સંબોધન કરતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઉઠી રાષ્ટ્રવાદ આત્મસાદ કરવા અનુરોધ કરતા કહ્યું કે, જીવનમાં તણાવથી દૂર રહેવા આપણા શાસ્ત્રો અને શ્રીમદ ભગવત ગીતામાં જીવન મંત્રો આપવામાં આવ્યા છે. ત્યારે જીવનમાં આવતા પડકારો સામે સિદ્ધાંતો નહીં પણ કાર્ય પદ્ધતિ બદલવી જોઈએ. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને દયા, પ્રેમ કરુણા, નમ્રતા જેવા ગુણો આત્મસાત કરવાની વ્યસનથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો.
ભગવત ગીતામાં આપેલા સિદ્ધાંતો આજે નહીં તો આગામી દસકાઓમાં અગ્ર વિશ્વએ સ્વીકારવા પડશે. તેમ જણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિના ધરોહર સમા સ્થળોનો કાયાકલ્પ થયો છે. અને દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે.
આ પ્રસંગે શ્રી મુક્તાનંદજી બાપુ, શ્રી મહેશગીરી બાપુ, કુલપતિ ચેતન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. ઉપરાંત લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આગવી શૈલીમાં લોકસાહિત્ય પીરસ્યું હતું.
આ પ્રસંગે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીની જુદી જુદી કોલેજના આચાર્યશ્રેઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





