હેનલે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર દેશમાં 6500 ધકીનો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે

એક ચિંતાજનક અહેવાલ અનુસાર મોટી સંખ્યામાં ધનિકો આ વર્ષે પણ ભારત છોડવાની તૈયારી કરી રહ્યા છે. હેનલે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 (Henley Private Wealth Migration) અનુસાર 2023માં 6500 હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ સંખ્યા ગત વર્ષના ધનિકો કરતા ઓછી છે.
માહિતી અનુસાર ગત વર્ષે 7500 ધનિક લોકો ભારત છોડીને જતા રહ્યા હતા. આ રિપોર્ટ જારી કરનાર હેનલે દુનિયાભરમાં વેલ્થ અને ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન પર નજર રાખે છે. હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) ના દેશ છોડી જવા મામલે ભારત દુનિયામાં બીજા ક્રમે છે. આ મામલે ટોચના ક્રમે ચીન છે. 2023માં ચીનના 13500 ધનિકો દેશ છોડી શકે છે.
મિલિયોનેર કે હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) એ વ્યક્તિને કહેવાય છે કે જેમની પાસે 10 લાખ ડૉલર કે તેનાથી વધુની ઈન્વેસ્ટેબલ વેલ્થ હોય છે.
દેશ છોડીને જનારા ધનિકો મામલે દુનિયામાં ત્રીજા ક્રમે બ્રિટન આવે છે. અહીંથી 3200 HNI દેશ છોડીને જઈ શકે છે. જ્યારે રશિયાથી 3000 ધનિકો દેશ છોડવાની તૈયારીમાં છે. આ મામલે રશિયા ચોથા ક્રમે રહ્યું છે. 2022ની વાત કરીએ તો રશિયાથી 8500 ધનિકો દેશ છોડી જતા રહ્યા હતા.
હવે સવાલ એ છે કે ધનિક લોકો પોતાનો દેશ છોડી કેમ જતા રહે છે. આવું ખાસ તો ટેક્સ કાયદાની જટિલતાઓને કારણે થાય છે. ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને લીધે દર વર્ષે હજારો ધનિક લોકો દેશ છોડીને જતા રહે છે.
દુનિયાભરના ધનિકોને દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ આવી રહી છે. ધનિકો એ દેશમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો ફ્લેક્સિબલ અને રાહતભર્યા હોય છે.
ટેક્સના નિયમોમાં જટિલતા અંગે સોશિયલ મીડિયા યૂઝર્સે નાણા મંત્રાલયને ઘેર્યા હતા. દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના પૂર્વ બોર્ડ મેમ્બર ટીવી મોહનદાસ પાઈએ પણ ટ્વિટ કરી. તેમણે કહ્યું કે નાણા મંત્રાલયે HNIનું જીવવું દુશ્વાર કરી દીધું છે. ટેક્સના નિયમો સાચે જ સરળ કરવાની જરૂર છે.