
લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેરાત કરી છે. મમતા બેનરજીએ કહ્યું કે કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિપક્ષી ગઠબંધન ‘INDIA’નું બહારથી સમર્થન કરશે.
TMCના પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું, મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો બહારથી સાથ આપશે. કેન્દ્રની સત્તામાંથી ભાજપને બહાર થવા પર હું ગઠબંધન ઇન્ડિયાને CAA, NRC અને UCC પરત લેવા માટે કહીશ.
મમતા બેનરજીએ ભાજપના 400 બેઠક જીતવાના ટાર્ગેટ પર પ્રહાર કરતા કહ્યું કે, એવું થવાનું નથી. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું, “ભાજપ 400 બેઠક જીતવાનો દાવો કરી રહી છે પરંતુ લોકો આવું નહીં થવા દે. જનતાને ખબર પડી ગઇ છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે.”
TMC ભાજપ વિરૂદ્ધ વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો ભાગ છે પરંતુ તે બંગાળમાં એકલા ચૂંટણી લડી રહી છે. મમતા બેનરજી અને કોંગ્રેસના નેતા અવાર નવાર વિવિધ મુદ્દાને લઇને એક બીજા પર નિશાન સાધતા રહે છે. તાજેતરમાં જ મમતા બેનરજીએ ભાજપ-કોંગ્રેસ-સીપીઆઇ-એમને નોકરી ખાનારા ગણાવ્યા હતા.
મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે કોલકાતા હાઇકોર્ટના તાજેતરમાં 25,753 શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારીઓની નિયુક્તિઓને રદ કરવા CPI-M, કોંગ્રેસ અને ભાજપની રચવામાં આવેલા સંયુક્ત ષડયંત્રનું પરિણામ છે.










