
- પશુપાલન કરતા પરિવાર માટે ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો…
i
——
*″ગોબર ધન યોજના″ સામાન્ય માણસોને પરવડે તેવી પર્યાવરણ અનુકૂલિત યોજના છે*
—–
*ગોબર ગેસ પ્લાન્ટ થકી મળતું કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર(સ્લરી) સજીવ ખેતીમાં વપરાય છે*
——
*મારા જેવી ગૃહિણીને પડતી પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે ગોબરધન યોજના થકી:-લાભાર્થી કૈલાસબેન વસાવા*
——-
આલેખન: વિશાલ કડિયા
ભરૂચ:સોમવાર:*માંડ બપોરે ઘરે આવ્યા હોય…અને જમવાનું બનાવવાનો સમય થયો હોય… ત્યારે બળતણ માટે લાકડાં શોધવા જવા પડે…વળી એ સમયે લાકડાં પણ મળે નહિં… ચૂલા ઉપર રાંધતા ધુમાડો જાણે આંખોમાં બળતરા થતી હોય જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો…પણ ભલુ થજો સરકારશ્રીનું…કે જેમના થકી ગોબરધન યોજનાનો લાભ મળતા ગોબર ગેસ લાગવાથી મારા જેવી ગૃહિણીને પડતી પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે…આ શબ્દો છે…ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના છેવાડાના ગામ કંમબોડિયાના વતની લાભાર્થી કૈલાસબેન વસાવાના*
કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામા આવી છે. જેમાંની એક ગોબરધન યોજના છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા નેત્રંગના કંબોડિયા તથા વાલીયા તાલુકાના જામણીયા અને રૂધા ગામે કુલ ૦૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી છે.
*શું છે ગોબરધન પ્લાન્ટ?*
*ગોબર ધન યોજના સામાન્ય માણસોને પરવડે તેવી પર્યાવરણ અનુકુલિત યોજના છે*
સામાન્ય રીતે પશુઓના છાણમાંથી બનાવવામાં આવતા છાણાંનો ઇંધણ તરીકે ઉપયોગથી ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. જેથી પ્રદુષણ રહિત ઈંધણ, સ્વાદિષ્ટ રસોઇની સાથે સમયનો બચાવ થાય છે. પશુપાલન કે જેઓ ૨ કે તેથી વધુ પશુ ધરાવતા હોય તેવા પરિવાર માટે આ ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો છે.
ગોબર ધન પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી બહાર નિકળે છે. આ સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવામાં આવે છે. જેથી આ પ્લાન્ટ બનાવનારને ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાની સાથે આર્થિક ફાયદો પણ થાય છે. ઓર્ગેનિક ખેતીના હિમાયતી ખેડૂતો કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર (સ્લરી) ઊંચી કિંમતે ખરીદતા હોય છે.
આ પ્લાન્ટ બનાવવા માટે ૬ ફુટ પહોળાઇ અને ૫ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ સરકારી એજન્સી દ્વારા પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે જેથી બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી.
*સરકારશ્રી દ્વારા અપાતી સહાય…*
આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ ૪૨૦૦૦ રૂપિયા થાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા ૩૭૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયાનો ભરવાના થાય છે. સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે મનરેગા અંતર્ગત ગોબર ગેસ પ્લાન્ટનો ખાડો ખોદવાની રોજગારી આપવામાં આવે છે. જેના પરીણામે અંતરીતયાળ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થઈ રહી છે.








