
તા.૧૦/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ફરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નાની મારડ અને ચિચોડ ગામના લાભાર્થીઓએ સરકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા.

બંને ગામમાં કાર્યક્રમ સ્થળે ડ્રોન નિદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

જૈવિક ખેતી કરતાં કૃષકએ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા હતા. “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ બાળાઓએ પાઠવ્યો હતો. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભો મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, નાનીમારડ અને ચિચોડના ગ્રામ સરપંચશ્રી, ગ્રામ આગેવાનશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ એમ.પી.સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ સાકરિયા, હાર્દિકભાઈ જાની, જયરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ ગોહેલ, હરેશભાઈ ઘોરી, સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








