
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આયુર્વેદ અંગે લોકજાગૃતિ માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા ખડસુપા સી.એચ.સી. ખાતે આયુષમેળો યોજાયો હતો.
પૌરાણિક કાળથી આયુર્વેદનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે, જે લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે. આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક અને લાભદાયક ઉપચાર બની રહે છે.
આયુષ મેળામાં સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન, બીપી સુગર ચેકઅપ, વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા, વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન જેવા પ્રદર્શન અને સુવર્ણપ્રાસનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષમેળામાં શ્રી પીનાકીન પટેલ, ડો.ચિરાગ પટેલ, બાળ રોગ નિષ્ણાંત ડો.ડિમ્પલ પટેલ, દંત સર્જન ડો. પ્રકાશ બરજોડ, ડો. માધુરી વ્યાસ ઉપસ્થિત રહયાં હતાં. જેમાં લાભાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓએ આયુષ મેળાનો લાભ લીધો હતો.








