તા.૧૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે, જે અન્વયે હાલમાં જ મૃત્યુ પામેલા એક મહિલાની ત્વચાનું દાન કરાયું છે.
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ.ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, દક્ષાબહેન વિનોદકુમાર કોટક પાંચમી સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામ્યા હતા. મહિલાના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો. આથી દક્ષાબહેનના પુત્ર શ્રી વિપુલભાઈ કોટકે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કરતાં સ્કીન બેન્કની ટીમે તેમના ઘરે પહોંચી સ્વ.દક્ષાબહેનની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.
મહત્વનું છે કે, આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે. તથા આ સ્કીનનો ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.
પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા સુશ્રી મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.








