Palanpur :પાલનપુર ઉમીયા નર્સીંગ કોલેજ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયોઃ કોલેજના વિદ્યાર્થીઓએ નશો નાશનું મૂળ વિષય પર પ્રવચન કર્યા

2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
બનાસકાંઠા જિલ્લામાં આજ તા. ૨ જી ઓકટોબર, પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી આગામી તા. ૮ મી ઓકટોબર સુધી યોજાનાર નશાબંધી સપ્તા હની ઉજવણીનો પ્રારંભ થયો છે. પાલનપુરના ગણેશપુરા રોડ પર આવેલ ઉમીયા નર્સીંગ કોલેજ ખાતે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ગિરીશભાઇ જગાણીયાની ઉપસ્થિતિમાં નશાબંધી અને આબકારી કચેરી દ્વારા આ સપ્તાેહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓએ નશો નાશનું મૂળ વિષય પર પ્રેરાણાદાયી પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગે ઉમીયા નર્સીંગ કોલેજના ટ્રસ્ટીશ્રી ગિરીશભાઇ જગાણીયાની જણાવ્યું કે, આજે પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ વ્યસનમુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લઇ પૂજ્ય બાપુને શ્રધ્ધાજંલિ અર્પણ કરીએ. તેમણે કહ્યુ કે, વ્યસનો હંમેશા માણસની બરબાદી નોતરે છે ત્યારે કોઇપણ પ્રકારના વ્યસનોથી દૂર રહી સમૃધ્ધ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. તેમણે કોલેજના વિધાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે, કોઇપણ પ્રકારના વ્યસનથી માણસની બરબાદી અને પતન થાય છે એ નક્કી જ છે ત્યારે યુવાનીમાં વ્યસનોની બદીથી દૂર રહી આવતીકાલના શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ. તેમણે ભારત બીજા વડાપ્રધાનશ્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરી શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. નશાબંધી અને આબકારીના ઇન્સપેક્ટરશ્રી બી.ડી.ચૌધરીએ જણાવ્યું કે, આપણું ગુજરાત પૂજય મહાત્મા ગાંધીજીનું રાજય છે. આપણા રાજયમાં દારૂબંધી હોવાથી દર વર્ષે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોએ વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજી લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કરવામાં આવે છે. આ પ્રસંગે સંગઠનના મંત્રીશ્રી અમીષપુરી ગૌસ્વામી, નવજીવન વ્યસનમુક્તિ અને પુનઃવસન કેન્દ્ર, પાલનપુરના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી કે. આર. ગઢવી, નશાબંધી સંસ્કાર કેન્દ્ર, ઇકબાલગઢના શ્રી અમીચંદભાઇ શ્રીમાળી, એસ.ઓ.જી. શ્રી કાંતિભાઇ વડનગરા, બનાસ નર્સીંગ સ્કુલના એમ.ડી.શ્રી જીગરભાઇ વ્યાસ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કોલેજનો સ્ટાફ અને સારી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





