
તા.૨૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ડ્રોન પ્રદર્શન, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયા: આવતીકાલે બારવણ ખાતે કાર્યક્રમ યોજાશે
Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના મેસવડા અને મઘરવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર આવકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન યોજાયા તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના સખીમંડળથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીશ્રી કંચનબેન પરમાર અને આયુષ્માન યોજનાનો લાભ મેળવનાર રવજીભાઈ મેરએ પોતાની કહાની રજૂ કરી હતી.

આ બંને ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગ્રામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજનાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી જી.વી.જાદવ, ઉપસરપંચ શ્રી નારણભાઈ બાવળીયા, તલાટી કમ મંત્રી શ્રી કે.પી. જાગાણી, એમ.પી.એચ.ડબલ્યુ. મહેશભાઈ સાવળીયા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજકોટ તાલુકાના બારવણ ખાતે આવતીકાલે યોજાનાર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યક્રમ અંગે બારવણના ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી અને યાત્રામાં મહત્તમ યોજનાઓના લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.








