
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સતત ત્રીજી વખત લંબાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યો છે અને તેમને ઓફિસ છોડી દેવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારને લપડાક લગાવતા સુપ્રીમ કોર્ટે ઈડીના વડા તરીકે આઈઆરએસ અધિકારી સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાવવા કેન્દ્ર દ્વારા કરાયેલા બે જાહેરનામાને ‘ગેરકાયદે’ ગણાવ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) કાયદા, ૨૦૨૧ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ (સુધારા) એક્ટ, ૨૦૨૧ તેમજ ફંડામેન્ટલ (સુધારા) રુલ્સ, ૨૦૨૧માં કરાયેલા સુધારાને જાળવી રાખ્યા છે. આ સુધારા મારફત કેન્દ્ર સરકાર સીબીઆઈ અને ઈડીના વડાને પાંચ વર્ષનો કાર્યકાળ આપી શકશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા મુદ્દે કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટે જોરદાર ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશો બીઆર ગવઈ, વિક્રમનાથ અને સંજય કરોલની બેન્ચે મંગળવારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત લંબાવવાનો ઈનકાર કરી દીધો છે.
જોકે, કોર્ટે કેન્દ્ર સરકારની વિનંતીના પગલે આંતરરાષ્ટ્રીય એકમ એફએટીએફની સમીક્ષા અને કામકાજના સુચારુરૂપે સંચાલનના સંબંધમાં કેન્દ્ર સરકારની ચિંતાઓને ધ્યાનમાં રાખતં સંજય મિશ્રાને ૩૧મી જુલાઈ સુધી તેમના પદ પર રહેવાની મંજૂરી આપી છે. એફએટીએફ એક વૈશ્વિક સંસ્થા છે, જે મની લોન્ડરિંગ, આંતકવાદ અને તેમને નાણાંના ધીરાણ પર કાયદાકીય પગલાં લે છે.
ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું હતું કે, સંજય મિશ્રાનો કાર્યકાળ ૨૨ નવેમ્બર પછી લંબાવવાની કોઈ જરૂર નહોતી. સુપ્રીમ કોર્ટે ૨૦૨૧ના રોજ તેના ચૂકાદામાં કહ્યું હતું કે મિશ્રાનો કાર્યકાળ વધુ લંબાવી શકાય નહીં. સંજય મિશ્રાનો કાર્યકાળ ૧૭ નવેમ્બર, ૨૦૨૧ અને ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ લંબાવાયો હતો. બંને વખત તેમનો કાર્યકાળ એક-એક વર્ષ લંબાવાયો હતો, જે ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો ના હોત તો વર્ષ ૧૯૮૪ની બેચના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વિસ્તરણ પછી નવેમ્બર ૨૦૨૩માં સમાપ્ત થયો હોત.
બેન્ચે સંજય મિશ્રાને ૩૧ જુલાઈ સુધીમાં ઓફિસ છોડી દેવા અને કેન્દ્ર સરકારને આ સમયમાં અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરવા નિર્દેશ આપ્યા છે. બેન્ચના ચૂકાદામાં ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ૨૦૨૧માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરાયેલા સુધારા ખોટા નથી, પરંતુ કોર્ટે ૨૦૨૧માં જ ચૂકાદો આપી દીધો હતો તો મિશ્રાનો કાર્યકાળ વધારવાની જરૂર નહોતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એન્ફોર્સમેન્ટના ડિરેક્ટરપદે નિમણૂકની પ્રક્રિયામાં નોંધપાત્ર સમય લાગી શકે છે. તેથી અમે વ્યાપક જનહિતમાં હસ્તાંતરણ સરળ બની રહે તે માટે સંજય મિશ્રાને ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધી પદ પર ચાલુ રહેવા જણાવીએ છીએ. બેન્ચે ઉમેર્યું હતું કે, કાયદાકીય કાર્યવાહીમાં ન્યાયીક સમિક્ષાનો મર્યાદિત અવકાશ છે અને તેની માત્ર ત્રણ માપદંડોથી જ સમીક્ષા કરવી જોઈએ. જેમ કે, ધારાસભા આ કાયદો ઘડવા સક્ષમ છે, શું તેનાથી કોઈ મૂળભૂત અધિકારો પર અસર થાય છે? અને શું તે મનસ્વી રીતે લાગુ કરાયો છે?
સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૦૨૧ના આદેશનો ઉલ્લેખ કરતાં તેના ૧૦૩ પાનાના ચૂકાદામાં કહ્યું કે, ઈડીના ડિરેક્ટર તરીકે સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાવવાની કેન્દ્રની સત્તા જાળવી રાખવામાં આવે છે, પરંતુ બેન્ચે સ્પષ્ટતા કરી છે કે વય નિવૃત્તિ પછી અધિકારીઓનો કાર્યકાળ લંબાવવાનું વલણ રેર અને અસાધારણ કેસમાં જ હોવું જોઈએ.