
તા.૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરીને શ્રધ્ધાંજલિ અર્પિત કરાઈ
રાજકોટ: અજોડ કાર્યો અને શૌર્ય માટે જાણીતી ભારતીય સૈન્યની ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ૫૮મા રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોલ્ડન કટાર ડિવિઝનના અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે આવેલા યુદ્ધ સ્મારક પાર્ક ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને પુષ્પાંજલિ આપી હતી. આ દિવસ આપણા વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કરવામાં આવ્યો હતો. જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે.

ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા, અજોડ સાહસ અને શૌર્યપૂર્ણ કાર્યોથી ભરપૂર છે. ભારતીય સેનાએ વર્ષ ૧૯૬૫માં ૩૪૦ ચોરસ કિમી અને વર્ષ ૧૯૭૧ દરમિયાન ૭૪૪૩ ચોરસ કિમી પર કબજો કર્યો, ત્યારે દેશને આ યુદ્ધો દરમિયાન મળેલી સફળતાથી પણ આ બાબત સ્પષ્ટ થઈ હતી.

ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશા ગુજરાત રાજ્યમાં તેમના સાથી દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરના કેટલાક ઉદાહરણો પર નજર કરીએ તો, તોકતે ચક્રાવાત, કોવિડ-૧૯ અને મોરબીનો પુલ તૂટી પડવાની દુર્ઘટના દરમિયાન ગોલ્ડન કતારે રાહત કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સંગઠને “ગ્રામ સેવા, દેશસેવા” હેઠળ ગામડાઓનું મજબૂતીકરણ કરવા અને સુરક્ષા દળો દ્વારા સરહદી ગામોને દત્તક લેવા માટેની વિવિધ પહેલોને પણ સમર્થન આપ્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ડિવિઝને “પરિવર્તન વર્ષ ૨૦૨૩”ની થીમ સાથે પોતાને ફરીથી દેશ સેવામાં સમર્પિત કરી છે.








