GUJARATJETPURRAJKOT

Rajkot: ભારત સરકારના એમ.એસ.એમ.ઇ. મંત્રાલયના સચિવએ આજી જી.આઇ.ડી.સી.ખાતેના એન.એસ.આઇ.સી.અને એન્જિનિયરિંગ એસો.ના ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

તા.૧૩/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગ (એમ.એસ.એમ.ઇ.) મંત્રાલયના સચિવશ્રી એસ.સી.એલ.દાસ આજી જી.આઈ.ડી.સી. પાસે ૭૪ એકરમાં ફેલાયેલ એન.એસ.આઇ.સી. કેમ્પસ તેમજ રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનના ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાતે પધાર્યા હતાં. આ ઉપરાંત, સચિવશ્રી રાજકોટ સરદારબાગ અતિથિ ગૃહ ખાતે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠકમાં પણ જોડાયા હતા. તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગોની જરૂરિયાતની જાણકારી મેળવી હતી.

સચિવશ્રીએ એન.ટી.એસ.સી. મુલાકાત દરમ્યાન મિટિંગમાં સ્ટાફ, ઉપલબ્ધ સુવિધાઓ, નાણાકીય બાબતો વિષે માહિતી પી.પી.ટી.નાં માધ્યમથી મેળવી સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ ટેકનિકલ ટેસ્ટિંગ સુવિધાઓના આધુનિકીકરણ, વિવિધ સરકારી સંસ્થાઓ તેમજ ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ. કરવા ઉપર ભાર મૂક્યો હતો. ઉપરાંત તેમણે ભવિષ્યની યોજનાઓ અને માર્કેટ સીનારિયો અને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન(NSIC)એ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગ(એમ.એસ.એમ.ઇ.)મંત્રાલય દ્વારા સ્થાપિત કંપની છે. જે સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશભરમાં નિષ્ણાંત સ્ટાફ દ્વારા ચલાવાતા ટેકનિકલ સેન્ટર અને તાલીમ કેન્દ્રો ધરાવે છે. આ કંપની એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને માર્કેટિંગ, ટેકનોલોજી, ફાઇનાન્સ અને અન્ય સુવિધાઓ આપે છે.

રાજકોટમાં નેશનલ ટેકનિકલ સર્વિસિસ સેન્ટર(NTSC) આજી ઔદ્યોગિક વિસ્તાર, જૂના પી.ટી.સી ગ્રાઉન્ડ, ભાવનગર રોડ ખાતે કાર્યરત છે. જ્યાં એન્જિન, મોટર, પંપ, મટીરીયલ ટેસ્ટિંગ માટેની બી.આઇ.એસ. સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબોરેટરી અને વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવતું તાલીમ કેન્દ્ર કાર્યરત છે. આ સેન્ટર દ્વારા સરકાર માન્ય એનર્જી ઓડિટ પણ કરવામાં આવે છે.

આ મુલાકાતમાં એન.એસ.આઇ.સી. ટેકનિકલ સર્વિસ સેન્ટરના જનરલ મેનેજર અને એમ.ડી.શ્રી ઉપેન્દ્રકુમાર કોહલી, ચીફ મેનેજરશ્રી પી.આર. ચાગંતી, મોહમ્મદ જાવેદ યુસુફ, રવી પ્રકાશ વાળા, ધર્મેન્દ્ર રાજપૂત, ભારત સરકારના ગુજરાત રાજ્યના એમ.એસ.એમ.ઇ.ના ડેપ્યુટી ડાયરેક્ટર અને કાર્યાલય પ્રમુખશ્રી પી.એમ.સોલંકી, આસિસ્ટન્ટ ડાયરેકટરશ્રી સ્વાતી અગ્રવાલ, તેમજ સેન્ટરના ઇજનેર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સચિવશ્રી એસ. સી. એલ. દાસે રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનનાં ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર અને કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કેલીબરેશન લેબ, ટેસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, વિવિધ ટેસ્ટિંગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ એસોસિયેશન ના પ્રમુખ સભ્યો સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, RETARC-રાજકોટ એન્જિનિયરિંગ ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર એ પંપ અને ફાઉન્ડ્રી ક્લસ્ટરનું એક સુવિધા કેન્દ્ર છે. ઉદ્યોગોને સામાન્ય પરીક્ષણ અને રિસર્ચ સુવિધાઓ પૂરી પાડવા અને પરીક્ષણ અને કેલીબરેશન દ્વારા ગુણવત્તા સુધારવા માટે ઉદ્યોગો માટેની લેબ તરીકે સુવિધા આપે છે.

આ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટરને માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MSE-CDP) હેઠળ અનુદાન આપવામાં આવે છે. રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના સહયોગથી આ સેન્ટરમાં પમ્પસેટ, ઇન્ડક્શન મોટર, યાંત્રિક/ભૌતિક ગુણધર્મો અને ફેરસ, નોન-ફેરસ ધાતુઓ અને એલોયની રાસાયણિક રચના, મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશનની વિશાળ શ્રેણીના પરીક્ષણ માટે ઉદ્યોગોને અદ્યતન અને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવે છે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો અને હોદ્દેદારોશ્રી વિનુભાઇ આસોદરિયા, વસંત પટેલ, શ્રી મનોજ પટેલ, શ્રી અશોક નસીત, મામલતદારશ્રી એ.એચ.મકવાણા, સર્કલ ઓફિસરશ્રી એસ.બી.કથરીયા, ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ, અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત, સચિવશ્રીએ રાજકોટ સરદારબાગ અતિથિ ગૃહ ખાતે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો સાથે બેઠકમાં જોડાયા હતા.

તેઓએ રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔધોગિક વિકાસની સંભાવનાઓ અને ઉધોગોને પ્રોત્સાહન માટે લાંબાગાળાની નીતિ અને ઉદ્યોગોની સ્થાનિક જરુરિયાતો અંગે માહિતી મેળવી ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી યોજનાઓનો તમામ ઉદ્યોગકારો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા સચીવશ્રીએ અપીલ કરી હતી.

રાજકોટ એસોસિએશન હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારોએ “ઉદ્યમ” પોર્ટલમાં રાજકોટ પોર્ટલ પર વધુને વધુ લાભ મળે તે માટે તેમજ રાજકોટમાં અદ્યતન સુવિધાસજ્જ કન્વેન્શન સેન્ટર અને અમદાવાદની જેમ રાજકોટમાં પણ એમ.એસ.એમ.ઈ. ભવન બનાવવા રજૂઆત કરી હતી.

આ તકે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહા મંડળનાશ્રી પરાગ તેજુરા, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ઉપેન મોદી, પ્લાસ્ટિક એસો.ના શ્રી જે કે પટેલ, ઉદ્યોગપતિશ્રી હંસરાજ ગજેરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના શ્રી પાર્થ ગણાત્રા, રાજકોટ એન્જિનિયર એસો.ના શ્રી વિનુભાઈ પટેલ, ઈ. ઈ.પી.સીના શ્રી સમીર વૈષ્ણવ અને જિલ્લાના અન્ય અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button