
તા.૨૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ગુજરાત સરકાર અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને પુરવઠા મેનેજરશ્રીઓની ચિંતન શિબિર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે “જિલ્લા પુરવઠા અધિકારીઓને ફરજો” ઉપરનું પ્રેઝનટેશન રજૂ થયું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા એ આ તકે કહયુ હતું કે, રાજકોટમાં યોજાયેલ સૌ પ્રથમ અન્ન અને નાગરિક પુરવઠાની ચિંતન શિબિરથી આ વિભાગ વધુ બહેતર બનશે. ચિંતન શિબિર થકી અધિકારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા લોકોની જઠરાગ્નિ ઠારવાનું થઇ રહયુ છે તે સંપૂર્ણ જવાબદારી – અનુશાસનપૂર્વક થવું જોઈએ. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી વધુ સરળતાથી પહોચાડવાના ઉકેલ માટે સૌએ સજજ થવું જોઇએ.

મંત્રીશ્રીએ વધુમાં કહયુ હતું કે, સૌરાષ્ટ્ર મહેમાનના આતિથ્ય માટે જાણીતુ છે. અહીં દાતાઓ દ્વારા ધાર્મિક સ્થળો ઉપર પદયાત્રીઓ માટે પાણીના પરબ અને અન્ન ક્ષેત્ર ચલાવાતુ હતું. ત્યારે આપણે લોકોને અન્ન પહોચાડવાનું સેવાનું કાર્ય કાર્યક્ષમ રીતે સમયસૂચકતા પૂર્વક કરવુ જોઇએ. દરેક અધિકારીઓએ લોકો સાથે વાણી- વિચારમાં અનુશાસન અપનાવવુ જોઇએ. દેશના વડાપ્રધાનશ્રીએ કોરોના કાળથી શરૂ કરેલ અનાજની યોજનાના લાભથી લાભાર્થીઓ વંચિત ન રહે તે જોવુ જોઇએ. ગોડાઉન મેનેજરે અનાજના ગોડાઉનની સાર સંભાળ, એફસીઆઇમાંથી આવતા અનાજના જથ્થાના વજન, ગુણવત્તા વગેરે તપાસવા જોઈએ. તો પૂરવઠા અધિકારીઓને સબંધિત કાયદા અને નિયમોની સમજ હોવી જોઇએ.
અગ્ર સચિવશ્રી આર.સી.મીનાએ જણાવ્યું હતું કે સરકારના કોઈપણ વિભાગને બહેતર બનાવવા ચિંતન શિબિર મહત્વની ભૂમિકા ભજવે છે. અહી વિભાગને લગતી નવી કાયદાકીય માહિતી સહિતની વિવિધ જાણકારીઓ અપાય છે. જેથી અધિકારીઑ છેવાડાનાં માનવી સુધી યોજનાનો લાભ મોકલી શકે છે. અધિકારીઓના ગ્રુપને રૂબરૂ ફિલ્ડ ઉપર મોકલીને પ્રેકટીકલ તાલીમ અપાશે. અધિકારીઓની સમસ્યાઓ માટે પ્રશ્નોત્તરીનું સત્ર પણ રખાયુ છે.
મેનેજિંગ ડિરેક્ટરશ્રી તુષાર ધોળકિયાએ જણાવ્યું હતું કે અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગની કામગીરીની સમજણ, કામગીરીમાં પડતી સમસ્યાનો ઉકેલ અહી મળે છે. આ ક્ષેત્રના નવા અપડેશન અને આધુનિક ટેકનોલોજીના સહયોગથી અધિકારીઓની કાર્યપધ્ધતિ બદલાશે. જેનો લાભ સરકારી યોજનાના લાભાર્થીઓને મળશે.
આ ચિંતન શિબિરનો પ્રારંભ મહાનુભાવોના વરદ હસ્તે દિપપ્રાગટય દ્વારા કરાયો હતો. આ અવસરે ‘‘રામાયણ’’ના ગ્રંથથી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાનીએ અને કલેકટરશ્રી પ્રભવ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ શિબિરમાં અધિક કલેક્ટરશ્રી જે.કે જેગોડા, નાયબ સચિવશ્રી નયનાબેન, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંગી દેસાઈ, સયુંક્ત નિયામક ભાવિન સગર, અંગત સચિવશ્રી શિવરાજ બિલવા, ઉપસચીવશ્રી હેમંત શ્રીમાળી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વાંગવાની, જિલ્લાના તમામ પુરવઠા અધિકારીશ્રીઓ, સપ્લાય મેનેજરશ્રી, ગોડાઉન મેનેજરશ્રીઓ, સ્ટાફ આ તકે ઉપસ્થિતિ રહ્યા હતાં.








