તા.૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના ઈ. એન.ટી વિભાગ (કાન,નાક,ગળાના વિભાગ) ખાતે છેલ્લા બે વર્ષથી જન્મથી બહેરા તથા મૂંગા બાળકોની સચોટ તપાસ અને ત્યારબાદ કાનનું કોક્લીયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના ૭૫ બાળકોના સચોટ નિદાન અને ઈમ્પ્લાન્ટના સફળ ઓપરેશન થકી તેમનો સામાન્ય જીવનમાં પ્રવેશ થયો છે.
આ સારવાર માટે સૌપ્રથમ બાળકોની સાંભળવાની શક્તિની પ્રાથમિક તપાસ સરકારી કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક રીતે કરવામાં આવે છે તથા સીટી સ્કેન અને એમ.આર.આઈ દ્વારા કાનની રચનાની અને મગજના વિકાસની તપાસ કરવામાં આવે છે. સરકારશ્રી તરફથી કોકલીયર ઈમ્પ્લાન્ટના મશીનની ફાળવણી અને બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ થયા બાદ બાળકોનું નિ:શુલ્કપણે ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે છે.
ઓપરેશન બાદ બાળકોને સ્પીચ થેરાપી વડે બોલવાની તાલીમ આપવામાં આવે છે. આ ઓપરેશન દ્વારા જન્મજાત મૂક-બધિર બાળકોને સાંભળવાની અને બોલવાની શક્તિ મળી છે તેમજ તેઓ તેમના સમકક્ષ અન્ય સામાન્ય બાળકોની જેમ જ સ્વાવલંબી બન્યા છે.
આ બાબતે વધુ માહિતી આપતા ડોક્ટર સેજલ મિસ્ત્રી જણાવે છે કે,જન્મજાત બહેરા તથા મૂંગા બાળકોનું નાની ઉંમરે નિદાન થાય અને વહેલી તકે ઓપરેશન થાય તથા સમાજમાં આ અંગે વધુને વધુ જાગૃતતા ફેલાય તે માટે પીડીયુ હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી ડો.આર.એસ.ત્રિવેદી તથા ઇએનટી વિભાગ સતત કાર્યરત છે. ત્યારે બાળકોના માતા-પિતા પણ આ અંગે જાગૃત બની વહેલી તકે હોસ્પિટલ તપાસ કરાવી જરૂરી સારવાર માટે એક કદમ આગળ આવે તો આ બાળકોને સામાન્ય જીવન આપવા તરફ પહેલ થશે તેમ તબીબી અધિક્ષક પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.








