
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
નેશનલ અર્બલ કોન્ક્લેવમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે એવોર્ડ સ્વીકાર્યો
Rajkot: રાજકોટ ઝોનની અંજાર, ગાંધીધામ નગરપાલિકાના ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝના પ્રોજેક્ટને નેશનલ એવોર્ડ મળ્યો છે. “આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય” (મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) તથા “શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થા” (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ)ના ઉપક્રમે દિલ્હી ખાતે હાલમાં યોજાયેલી “નેશનલ અર્બન કોન્ક્લેવ”માં રાજકોટ ઝોનની પાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ એવોર્ડ અંગે માહિતી આપતા શ્રી ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીના કામો માટે જે “શ્રેષ્ઠ પ્રયાસો” ચાલે છે, તેને બિરદાવવાના હેતુસર આવાસ અને “શહેરી બાબતોના મંત્રાલય” તથા “શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થા” દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી-નગરપાલિકા વિસ્તારોમાં ચાલતા આવા શ્રેષ્ઠ પ્રયાસોની “નેશનલ અર્બન લર્નિંગ પ્લેટફોર્મ” પર ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી. કુલ એક લાખ જેટલી એન્ટ્રીમાંથી ૨૬૪ એન્ટ્રીઓ પસંદ કરાઈ હતી. જેમાં ૫૧ એન્ટ્રી પર વોટિંગ થયું હતું. જેમાંથી ૧૧ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. રાજકોટ ઝોનની અંજાર, ગાંધીધામ પાલિકાના ટ્રીટેડ વોટર રી-યુઝ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી પામી હતી. જેના ભાગરૂપે રાજકોટ ઝોનને એવોર્ડ-મેમેન્ટો તથા રૂપિયા ૫૦ હજારની રકમનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

પ્રોજેક્ટ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અંજાર તથા ગાંધીધામ પાલિકામાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ, વેલસ્પન કંપનીના સહયોગથી રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ૪૦ મિલિયન લીટર પર ડે (એમ.એલ.ડી. -દૈનિક ચાર કરોડ લીટર પ્રતિ દિન પાણી શુદ્ધ કરવાની ક્ષમતાવાળો) ટ્રીટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યો છે. આ પ્લાન્ટમાં અંજાર પાલિકામાંથી નીકળતું રોજનું આશરે ૩.૫ મિલિયન લીટર ગંદુ પાણી (દૈનિક ૩૫ લાખ લીટર) જ્યારે ગાંધીધામ પાલિકા વિસ્તારમાંથી નીકળતું રોજનું આશરે ૨૦ મિલિયન લીટર ગંદુ પાણી (૨ કરોડ લીટર) શુદ્ધ થાય છે. આ શુદ્ધ પાણી વેલસ્પન કંપનીને ઔદ્યોગિક વપરાશ માટે વેચાતુ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, તેનાથી અંજાર પાલિકાને વર્ષે રૂપિયા સાત લાખ તથા ગાંધીધામ પાલિકાને વર્ષે રૂપિયા ૩૦ લાખની આવક થાય છે. ઉપરાંત ટ્રીટેડ વોટર ઔદ્યોગિક વપરાશમાં જતું હોવાથી આટલા શુદ્ધ પાણીનો વરરાશ ઘટે છે અને તેની બચત થાય છે. વળી, ટ્રીટેડ વોટર શુદ્ધ થતું હોવાથી જળ પ્રદૂષણ પણ ઘટે છે. આમ આ પ્રોજેક્ટના અનેકવિધ ફાયદા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ટ્રીટેડ વોટર પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલા પાણીમાંથી ૮૫ ટકા પાણીનો વેલસ્પન સ્ટીલ પ્લાન્ટમાં જ્યારે અન્ય પાણીનો કંપનીના ૧૩ એકરના બગીચામાં ઉપયોગ થાય છે.








