તા.૨૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો હોટલ, લોજ, વગેરેમાં ગુપ્ત રીતે આશરો લઈ જાહેર સલામતી જોખમાય તેવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે, તેને ધ્યાને લઇ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે કેટલાક આદેશો જાહેર કરેલ છે,જે મુજબ હોટલ, લોજ વગેરેના માલીકોએ રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ તાત્કાલિક ઓનલાઈન પેાર્ટલ https:\\pathik.guru માં ફરજીયાતપણે કરવાની રહેશે. દરેક હોટેલ, લોજ વગેરેના માલિકોએ એસ.ઓ.જી. શાખાની ઓફિસમાં રજીસ્ટર કરાવી પોતાના આઇ.ડી. પાસવર્ડ મેળવી લેવાના રહેશે, તેમજ રિસેપ્શન પર ઇન્ટરનેટ સાથેના કમ્પ્યુટરમાં પથિક સોફ્ટવેરમાં ઑનલાઇન એન્ટ્રી ન થઈ જાય ત્યાં સુધી કોઈને રૂમ આપી શકાશે નહી. મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમીત ધોરણે જનરેટ કરી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ વ્યક્તિના નામ, અસલ ફોટો આઈ.ડી., ચેક કરવાના રહેશે તેમજ તેની નકલ ફોન નંબર વગેરે સાથે નોંધ રાખવાની રહેશે.
વિદેશી કે પરપ્રાંતીય મુસાફરો કઈ જગ્યાએથી અને શા માટે રાજકોટ શહેરમાં ઉતર્યા છે તેની માહિતી મેળવી, તેમના નંબર તેમજ જે પેઢીના કામ માટે આવ્યા હોય તે પેઢીના પૂરા નામ, સરનામા, ફોન નંબરની ખરાઈ કરી શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણ માસ સુધીની સી.સી.ટી.વી. ફુટેજ રાખવાના રહેશે. ટેકનોલોજીમાં આવેલ ખામીને કારણે જો એન્ટ્રી કરવામાં સમસ્યા સર્જાય તો તે અંગેની જાણ રાજકોટ એસ.ઓ.જી.ને કરવાની રહેશે. મુસાફરો જે વાહનમાં આવેલ હોય તેની પણ વિગતવાર નોંધ કરવાની રહેશે. ફાયર એન. ઓ.સી., ફુડ લાયસન્સ, ભાડા કરાર વગેરે તમામ દસ્તાવેજો મેળવી રીસેપ્શન પર પોલીસ જોવા માંગે ત્યારે આપી શકાય તે રીતે રાખવાના રહેશે. ઉપરાંત માલિકો, કર્મચારીઓની તેમના સરનામા સાથેની યાદી રિસેપ્શન પર રાખવાની રહેશે. અને તમામના પોલીસ વેરિફિકેશન દર ૬ મહિને કરાવવાના રહેશે. આ આદેશો તા.૧ નવેમ્બર થી તા.૩૧ ડિસેમ્બર સુધી પોલીસ કમિશ્નરશ્રીના અધિકાર ક્ષેત્રના સમગ્ર વિસ્તાર અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.