
તા.૧૦/૧૦૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના લાઠ ગામ ખાતે ભાદર નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાતા લોકો ફસાયાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે તાલુકા કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ગણતરીની મિનિટોમાં સ્થાનિક તરવૈયા, આપદામિત્ર અને રેસ્ક્યુ ટીમ, ફાયર વિભાગની ટીમો પહોચી ગઈ હતી. રેસ્ક્યુ જવાનોએ રેસ્ક્યુ સાધનોની મદદથી સમયસુચક્તાપૂર્વક લોકોને પુરમાં તણાઈ જતા બચાવી લઈ, વિના વિલંબે એમ્બ્યુલન્સની આરોગ્ય ટીમ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

તાલુકા વહીવટી તંત્ર વતી મામલતદારશ્રી મહેશ ધનવાણી, ઇન્ચાર્જ. તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.કે.લાંગા તેમજ ચીફ ઓફિસરશ્રી, તાલુકા વહીવટી તંત્રના સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ સમગ્ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા મામલતદારશ્રી મહેશ ધનવાણીએ આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ દર્શાવી હતી.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કુદરતી આફતો સામે બચાવ કામગીરી અંગે ગંભીર પરિસ્થિતિમાં તમામ વિભાગો સાથે સંકલન કરી સમય વેડફ્યા વિના રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના બચાવની કામગીરી અંગે ઉંડાણપૂર્વક સલાહ સુચનો અને તાકીદે લેવાના થતા પગલા અંગે ગ્રામજનોને વિગતવાર સમજુતી આપી ઉપસ્થિત ટીમની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ મોકડ્રીલમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સ્થાનિક ગામના આગેવાનો, સરપંચ, તલાટી, સ્થાનિક તરવૈયા, નગરપાલિકા ફાયર વિભાગ ટીમ, ગોંડલ નગરપાલિકાની ટીમ સહિતનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ નાયબ મામલતદાર ડિઝાસ્ટર એમ.બી.જાડેજાની યાદીમાં જણાવાયું છે.









