
તા.૧૦/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આજરોજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” નિમિત્તે લોકોમાં માનસિક બીમારી પ્રત્યે જાગૃતિ આવે તે અર્થે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘માનસિક સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે ?’ વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્નાતક કક્ષાએ ૫૪ અને અનુસ્નાતક કક્ષાએ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કુલપતિશ્રી ગિરીશ ભીમાણીએ ”લોકસેવા એજ પ્રભુ સેવા” તેમ જણાવી કહ્યું હતું કે, મનોવિજ્ઞાન ભવન જે લોકસેવા કરી રહ્યું છે તેમાં વધારો થાય અને લોક ઉપયોગી યુનિવર્સિટી થાય તે હેતુથી ટુંક સમયમાં વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે.

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે માનસિક રોગોની જાગૃતિ અર્થે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોચિકિત્સક ડો. નીરવ ચુડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા મનોરોગ થવાના કારણો, અસરો અને બચાવ અંગે સરળ ભાષામાં વક્તવ્ય આપ્યું હતું.
માનસિક રોગો અને તેની અસરો અંગે લોકો સજાગ બને, અને પારિવારિક, સામાજિક અને આર્થિક સમસ્યાઓના નિવારણની આપણી સૌની જવાબદારી હોવાનું આ તકે ડો. નિરવે જણાવ્યું હતું.








