
તા.૩૦/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ ૩૯ વર્ષના સફળ કાર્યકાળને બિરદાવીને નિવૃત્તિમય જીવનની શુભેચ્છા પાઠવી
Rajkot: રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસીયાના અધ્યક્ષસ્થાને સહાયક માહિતી નિયામક (વહીવટ)શ્રી જયેશભાઈ પુરોહિતનો વયનિવૃત્તિ વિદાયમાન સમારોહ આજે યોજાયો હતો. જેમાં શ્રી જયેશભાઈ પુરોહિતે માહિતી વિભાગમાં ૩૯ વર્ષની કારકિર્દી દરમિયાન રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર અને ગાંધીનગર કચેરીમાં બજાવેલી વહીવટી કામગીરીના અનુભવો વર્ણવ્યાં હતા.

આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શ્રી જયેશભાઈ પુરોહિતે શાંત પ્રકૃતિ સાથે વહીવટી કામગીરી કરી એ તેમની ઉપલબ્ધિ છે. તેમજ અન્ય જિલ્લા કચેરીઓ સાથે સંકલન સાધીને સરળતાથી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે, તેવી શુભકામના પાઠવું છું.

આ કાર્યક્રમમાં કચેરી અધિક્ષકશ્રી રઝાકભાઈ ડેલાએ સ્વાગત પ્રવચનમાં શ્રી જયેશભાઈની ફરજનિષ્ઠાની વાતો કરી હતી. સહાયક માહિતી નિયામક (સંપાદન)શ્રી સોનલબેન જોષીપુરાએ શ્રી જયેશભાઈએ વાદવિવાદ વિના સંવાદથી કામ કર્યું હોવાને તેમની કારકિર્દીનું સૌથી સફળ પાસું ગણાવ્યું હતું. તેમજ સાથી કર્મચારીઓએ શ્રી જયેશભાઈને શુભેચ્છા ભેટ આપી સંસ્મરણો વાગોળ્યા હતાં.

આ સમારોહમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસીયાએ નિવૃત્ત થઈ રહેલા સહાયક માહિતી નિયામક (વહીવટ)શ્રી જયેશભાઈ પુરોહિતને પુષ્પગુચ્છ, શાલ અને શ્રીફળ આપીને અભિવાદન કર્યું હતું. તેમજ સ્મૃતિ ભેટો અર્પણ કરીને ભાવસભર વિદાય આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓપરેટરશ્રી કેતનભાઈ દવે એ કર્યું હતું. આ તકે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના અધિકારીઓ, કર્મચારીઓ તથા પરિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.








