
તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટવાસીઓ માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો: બસ ઈલેક્ટ્રીક હોવાથી પર્યાવરણની પણ થશે જાળવણી
મનપાની અઢી વર્ષની વિકાસ ગાથા દર્શાવતા ‘‘વાઈબ્રન્ટ રાજકોટ’’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાએ રૂ. ૩૦ કરોડના ખર્ચે હાલમાં જ ખરીદેલી નવીન ૨૫ ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ દર્શનની બસનો પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આજે લોકાર્પણ કરાયેલી બસો ઇલેકટ્રિક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે અને જાહેર પરિવહન સેવા બહેતર બનશે.
આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘વાઈબ્રન્ટ રાજકોટ’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રીના ‘ભારે ઉદ્યોગ વિભાગ’ (Department of Heavy Industries-DHI) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-૨ યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં ૫૦ ઇલેક્ટ્રીક બસો આપવામાં આવી છે. તમામ ઇ-બસો જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે. જ્યારે રાજકોટ માટે બીજા તબક્કામાં ૧૦૦ ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૫ બસોને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી છે.
આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભા સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર શ્રી કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ, કલેકટર શ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અગ્રણી સર્વશ્રી મુકેશ દોશી, રાજૂભાઇ ધ્રુવ, કમલેશભાઇ મિરાણી તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો, મનપાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.