તા.૨૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાને હરિયાળું રાજકોટ બનાવવા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ યોજનાઓ અંતર્ગત સઘન કામગીરી કરી ૯૩ હેક્ટર થી વધુ જમીનને હરિયાળી બનાવાઇ છે. જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ગ્રામવન, રોડ સાઇડ વાવેતર, હરીયાળું ગામ યોજના જેવી ખાતાકીય વાવેતર યોજના હેઠળ કુલ ૯૩ હેક્ટર જમીનને હરીયાળી કરવામાં આવી હતી. વિભાગ હેઠળ આવેલ રાજકોટ જિલ્લાની ૧૩ નર્સરી દ્વારા ૬.૪૫ લાખ રોપાઓનું વિતરણ કરી તથા રાજકોટ જિલ્લામાં લાભાર્થીઓ દ્વારા ઉછેરવામાં આવતી નર્સરીઓની યોજના અંતર્ગત ૪૯ નર્સરીમાં ૭.૭૦ લાખ રોપા લાભાર્થીઓ દ્વારા લોક વિતરણ માટે ઉછેરવામાં આવી વિતરીત કરવામાં આવ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળો વિવેકાનંદ પાર્ક-રાજકોટ, આજી ડેમ-રાજકોટ અને ગુંદાસરી-જામકંડોરણા ખાતે “નમો વડ વન” વિકસાવવામાં આવેલ છે. ઉપરાંત રાજકોટના ઇશ્વરીયા પાર્ક ખાતે ૦.૭૫ હેક્ટરમાં તથા જામવાડી – ગોંડલ ખાતે ૧.૦૦ હેક્ટરમાં મિયાંવાકી પધ્ધતિ મુજબ “વન કવચ” તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ હેક્ટરે ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. વનીકરણ વિભાગ દ્વારા ફાર્મ ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત જિલ્લાના ખેડુતોની ૨૩૩.૦૦ હેક્ટર જમીનમાં વન વિભાગ દ્વારા વાવેતર કરી રાજકોટ જિલ્લાના ગ્રીન કવરને વધારવા કામગીરી કરવામાં આવી હતી, તેમ અધિકારીશ્રી સામાજિક વનીકરણ રાજકોટની યાદીમાં જણાવાયું છે.








