
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૮.૨૦૨૩
પાવાગઢ ડુંગર ઉપર આવેલી સદનશાહ બાબાની દરગાહે દર્શન કરવા આવેલા આણંદ જિલ્લાના સુરેલી ગામના ગરાસીયા પરિવારના મોભી ડુંગર ઉપરથી 500 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું. સાંજે બનેલી દુર્ઘટના બાદ આજે સવારે હાલોલ ફાયર ફાઈટરની ટીમે અને પાવાગઢ પોલીસે ગરાસીયા પરિવારના મોભીનો મૃતદેહ ખીણમાંથી બહાર કાઢ્યો હતો.પોલીસે આ મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા નિઝામભાઈ પત્ની અને દીકરાઓ સાથે પાવાગઢ ડુંગર ઉપર આવેલી દરગાહે દર્શન કરવા આવ્યા હતા જેવો પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને દીકરા હનીફનું ખીણમાં પડી જતા મોત નીપજ્યું હતું.ચિતરીયા મહાદેવ નજીક ભદ્રકાળી મંદિર તરફ જવાના માર્ગ ઉપર આવેલી ખીણમાં પગ લપસી જતા હનીફ ઓડ 500 ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડ્યો હતો.દુર્ઘટના બાદ પરિવારજનોએ બૂમાબૂમ કરતા લોકટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ખીણમાં પડેલા યુવકની શોધખોળ આરંભી હતી સાંજે અંધારું થઈ જતા આજે વહેલી સવારે હાલોલ ફાયર ફાઈટર ની ટીમને સાથે રાખીને યુવક ની શોધખોળ આરંભાઈ હતી.દોરડાઓનો ઉપયોગ કરી ખીણમાં ઉતરેલા ફાયર ફાઈટર ના જવાનોને અધવચ્ચે પથ્થરોમાં ફસાયેલો હનીફનો મૃતદેહ મળી આવ્યો હતો જેને દોરડાઓ વડે બાંધીને ઉપર લાવવાની કામગીરી કરવામાં આવી હતી.અકસ્માતમાં મૃત્યુ પામેલ હનીફ તેના પિતા નિઝામ ભાઈ ના ચાર દીકરાઓ પૈકીનો સૌથી મોટો દીકરો હતો હનીફને પણ ત્રણ દીકરાઓ અને એક દીકરી સંતાનોમાં છે. આ તમામ પરિવારના સભ્યો ગઈકાલે પાવાગઢ દરગાહે માથું નમાવવા માટે આવ્યા હતા.હનીફ ગ્રીસ ભરવાનું કામ કરી અને ટ્રાન્સપોર્ટ ના વાહનોનું નાનું મોટું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હોવાનું તેના પરિવારજનો એ જણાવ્યું હતું.











