
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં તેરા તહેવારની ઉજવણી કરવામાં આવી.તેરા તહેવાર એ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં આ દરેક તહેવારો પ્રકૃતીનાં જળ,જંગલ,જમીન,પ્રાણીઓ સાથે જોડાયેલા છે.તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે.રાજ્યના છેવાડે આવેલા ગુજરાતનાં જિલ્લાઓમાં બહુલક આદિવાસી વસતી ધરાવતો ડાંગ જિલ્લો જ્યાં 98% આદિવાસી વસ્તી વસવાટ કરે છે.પ્રકૃતી સાથે સંકળાયેલા ડાંગીઓના રીતિ- રિવાજ પરંપરા અને માન્યતાઓ સાથે અહીં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ માટે વર્ષનો સૌથી પ્રથમ તહેવાર જે તેરાનો તહેવાર છે.જ્યારે અખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર ગણવામાં આવે છે. અખાત્રીજનાં તહેવાર વખતે પિત્રુ પુજન તથા ધાન્યની ખાતરી કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ત્યાર બાદ તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તરીકે ઓળખાતો આ “તેરા” છે.ડાંગ જિલ્લામાં વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગનાં સુંદર મોટા પાન આવે છે.જે રાન આળુનો એક પ્રકાર છે.ડાંગનાં દરેક ભાગમાં આ આળુ થાય છે.જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે.આ આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.પરંતુ ડાંગ જિલ્લામાં લોકો અસાઢ માસમાં અનુકૂળતાએ ઉજવણી કરે છે.ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે.આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે,તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે.પ્રથમ એ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્યારબાદ તેઓ આરોગે છે.આ તેરાનાં તહેવારનાં દિવસે રાત્રે નાચવાનો કાર્યક્રમ યોજાય છે.તેને ઠાકર્યા નૃત્ય કહેવાય છે.ડાંગ જિલ્લામાં હાલ તેરા તહેવાર નિમિત્તે ઠાકરે નાચવાની પ્રથા વિસરતી જાય છે.જ્યારે અમુક ગામડાઓમાં આ પ્રથા આજે પણ જોવા મળે છે.તેરાનાં દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.તેરાના આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે.જમીનમાં પાણી પચવાથી હવે તે જલધર બની છે.કેટલાક ખેડૂતો તો અડદ વાવ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી.તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા પછી જો તેરાનો સન પર્વ પાળવામાં આવે તો અડદમાં રોગ લાગુ પડે અને પાંદડા કોવાઈ જાય છે.સાથે અડદ મરી જાય એવી માન્યતા છે.આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળમાં નાખી તેઓ ખાય છે.અખાત્રીજના તહેવાર બાદ આદિવાસીઓ માટે વર્ષનો પહેલો તહેવાર તરીકે તેરા તહેવારને માનવામાં આવે છે.ડાંગનાં આદિવાસી લોકોનાં તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ ઇમારતી ઝાડ એવા સાગનાં પાંદડા તોડી શકે છે.આ સાગનાં પાંદડા ઘરકામનાં ઉપયોગમાં લેવાય છે.વરસાદથી બચવા સાગનાં પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.ડાંગ જિલ્લામાં વડીલોથી થઈ રહેલી તેરા પર્વની ઉજવણી આજે પણ ધબકતી જોવા મળવાની સાથે આદિવાસી પરંપરાઓની યાદગીરી અપાવે છે…





