KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ અને ગોધરા ખાતે સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું

કાલોલ તા ૧૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લાની બંને શહેરોની અંદાજે ૧.૨૦ લાખ વસ્તીને આ સેન્ટર થકી નિ:શુલ્ક લાભ મળશે

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આજરોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લુ મુકાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કર્યા હતા,તેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમાર અને જન પ્રતિનિધિ ફતેહસિંહ ચૌહાણ તથા વિવિધ પદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કરીને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.નગરપાલિકાઓના સહયોગથી કાલોલ ખાતે ફાયર સ્ટેશનના પ્રથમ માળે નાગરિક અધિકાર કેંદ્ર કાર્યરત કરેલ છે.આ તબકકે કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કાલોલ ખાતે આ સેન્ટરને ખુલ્લું મૂકીને કમ્યુનિટી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સરકાર તરફથી મળતી તમામ યોજનાઓ ઑનલાઇન થઈ છે.સીટી સિવિક સેન્ટરનો લાભ અને સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે તેમ કહીને સરકારનો આભાર માન્યો હતો. કાલોલ ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, સરકારી કચેરીઓ અધ્યતન થાય, નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે તેવા હકારાત્મક અભિગમ સાથે આગળ વધવા જિલ્લા વહીવટી તંત્ર પણ કટિબદ્ધ છે.આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલીકા ચીફ ઓફિસર ડી.સી ડામોર નગરપાલિકાના માજીપ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યઓ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, માજી જીલ્લા પંચાયત પ્રમુખ રાજપાલ જાદવ, મામલતદાર,તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવ ઠાકોર, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ તબકકે ઉપસ્થિત સૌ કોઈએ બનાસકાંઠા જિલ્લાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે,પરંતુ નગરપાલિકા ઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત હતી. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરાઈ છે.આ સેન્ટરો ખાતે મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઉપલબ્ધ થઈ છે.

[wptube id="1252022"]
Back to top button