Rajkot: શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નરશ્રી સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે

તા.૧૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વોટ્સન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો સહિતના ઐતિહાસિક સ્થળો નિહાળી પ્રભાવિત થતા ગવર્નરશ્રી
Rajkot: શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નરશ્રી સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે પધાર્યા હોઈ તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો હતો.

ગવર્નરશ્રી સેન્થિલ થોન્ડમનએ જ્યુબિલિ ગાર્ડન સ્થિત વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લઈ અહીં સંગ્રહિત પુરાતત્વીય, જૂની વિરાસત, લોક સાંસ્કૃતિક ધરોહરને રસપૂર્વક નિહાળી હતી. વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર શ્રી સંગીતાબેન રામાનુજ તેમજ સહાયક પુરાતત્વ નિયામકશ્રી સિધ્ધાબેન શાહે મ્યુઝિયમ સ્થિત કૃતિઓનું મહત્વ સમજાવ્યું હતું. અહીં તેઓએ વી.આર. ના માધ્યમથી ખંભાલીડા બૌદ્ધ ગુફાઓની વર્ચ્યુઅલ ટુર કરી હતી.

શ્રી સેન્થિલ થોન્ડમને ગાંધીજીના જીવન કવનને પ્રદર્શિત કરતા રાજકોટના પ્રખ્યાત ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. તેઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમણે મ્યુઝિયમના વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ “મોહનથી મહાત્માની સફર”ને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી રસપૂર્વક માણી હતી.

આ સાથે ગાંધીજીનો બચપણથી કિશોરાવસ્થા દરમ્યાન જે જગ્યાએ ઉછેર થયેલો તે કબા ગાંધીના ડેલાની મુલાકાત લઈ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતાં.

ગવર્નરશ્રી સેન્થિલની સાથે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનરશ્રી અમિરાજ ખાવડ, રાજકોટ પૂર્વ મામલતદારશ્રી એસ.જી.ચાવડા વગેરેએ ઉપસ્થિત રહી તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.








