
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની બમણી આવક’, ‘દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’ તેવા વાયદા કરાયાં હતા ત્યારે ગુજરાતમાં શ્રમિકો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ સહિત કુલ મળીને 25,478 લોકોએ આત્મહત્યા કરી છે. આજે રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેતમજૂરો વિધાથીઓ, વેપારી, સેવા નિવૃત અધિકારી-કર્મચારી આત્મહત્યા કરવા મજબૂર છે તે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લાં છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
ભારતમાં છેલ્લા 6વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હતી. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.
ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 6879 વિધાથીઓએ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો છે. આજે રાજ્યમાં વિધાથીઓની આત્મહત્યામાંની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેર જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યા નોંધાઈ છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે તેમ કોંગ્રેસનો આક્ષેપ છે.










