તા.૧૭/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અવસાન પામેલ શ્રી ઇન્દીરાબેન મહેતાના પરિવારજનોએ ત્વચાદાન કર્યું
Rajkot: રાજકોટ જિલ્લામાં નાગરિકોમાં ત્વચાદાન અંગે જાગૃતી વધી છે, ત્યારે રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલને વધુ એક મૃતકનું ત્વચાદાન મળ્યું છે. રાજકોટના સ્વ. ઇન્દીરાબેન જયવંતભાઈ મહેતાનું તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ અવસાન થતા તેમના પરિવાર દ્વારા તેમનું અંગદાન કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા કેસોમાં, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે સારવારમાં આ દાન કરેલ ત્વચા સારવાર માટે ખુબ ઉપયોગી સાબિત થતી હોય છે.
પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા માટે સતત તત્પર છે. નોંધનીય છે કે, ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ ૪૫ મિનિટમાં મેળવવામાં આવે છે. પીડીયુની નિષ્ણાંત ટીમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે હેલ્પલાઈન નંબર ૭૨૧૧૧ ૦૨૫૦૦ સક્રિય છે તેમ તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.