
કેન્દ્રીય કેબિનેટની મંગળવારે મળેલી બેઠકમાં મોદી સરકારે ઘણાં મોટા નિર્ણયો લીધા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ તમામ યુઝર્સ માટે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે રક્ષાબંધનના અવસર પર પીએમ નરેન્દ્ર મોદી તરફથી દેશની મહિલાઓને આ ભેટ છે. કેબિનેટના આ નિર્ણયથી દેશના 33 કરોડ ગ્રાહકોને રાહત મળશે.
કેન્દ્ર સરકારે મંગળવારે મોંઘવારીથી લોકોને રાહત આપતા ઘરોમાં વપરાતા રાંધણ ગેસ સિલિન્ડર (LPG)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા LPG કનેક્શન પણ મફતમાં આપશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની ગેસ સબસિડી મળશે. ઉજ્વલા યોજનામાં અગાઉથી જ રૂ.200ની સબસિડી મળી રહી છે. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત બુધવારથી 903 રૂપિયા થઈ જશે, જે હાલમાં 1,103 રૂપિયા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 703 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે.
સરકાર ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ પરિવારોને નવા એલપીજી કનેક્શન આપશે. આ સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. સરકારના આ નિર્ણયથી 33 કરોડ ગ્રાહકોને રાહત મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ તમામ યુઝર્સ માટે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે રક્ષાબંધનના અવસર પર પીએમ નરેન્દ્ર મોદી તરફથી દેશની મહિલાઓને આ ભેટ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેબિનેટે 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ તરીકે ઉજવવાની મંજૂરી આપી છે. તેમણે ઈસરોના ચંદ્રયાન-3 મિશનની પ્રશંસા કરતા કહ્યું કે, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર દેશ ઈસરોને અભિનંદન પાઠવે છે. આમાં મહિલા વૈજ્ઞાનિકોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.