
હરિયાણા: નૂંહ હિંસાના આરોપી બિટ્ટુ બજરંગીની પોલીસે તેના ફરીદાબાદ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી છે. બિટ્ટુ બજરંગી પર નૂંહમાં બ્રીજમંડલ યાત્રા પહેલા સોશિયલ મીડિયામાં આક્રમક પોસ્ટ મુકી હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરી છે. હરિયાણાના નૂંહથી શરૂ થયેલી હિંસા જે ગુરુગ્રામ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઇ. આ હિંસાનો મુખ્ય આરોપી બિટ્ટુ બજરંગી જ હતો. બજરંગ દળના સભ્ય બિટ્ટુ બજરંગી પર વિવિધ કલમો 148, 332, 186, 395, 397, 506, 25, 54, 59 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હરિયાણાના નૂંહમાં હિંદુ સંગઠનોએ ગત 31 જુલાઇના રોજ બ્રીજમંડલ યાત્રા નિકાળવાની જાહેરાત કરી હતી. આ માટે તેમને તંત્રની પરવાનગી પણ હતી. પરંતુ આ યાત્રા દરમિયાન તેમાં પથ્થરમારો થયો હતો જે વધુ ઉગ્ર બનતાં હિંસક અથડામણમાં પરિવર્તિત થઇ ગઇ હતી. અનેક ગાડીઓ-વાહનોને આગ લગાવાઇ, પોલીસ સ્ટેશન પર હુમલો થયો, ફાયરિંગ પણ થયું. નૂંહ પછી સોહનામાં પણ હિંસા અને ગોળીબાર થયો.
નૂંહ-મેવાત અને તેની આસપાસના મોટાભાગના વિસ્તારોમાં હિંસા માટે એક પક્ષે બિટ્ટુ બજરંગીને જવાબદાર ગણાવ્યો. તેણે આ બ્રીજમંડલ યાત્રામાં ભાગ લીધો હતો. તેમજ આ યાત્રામાં તલવાર બંદૂકો રાખવા અંગે પણ સવાલો ઉઠ્યાં હતાં. જે અંગે એક મીડિયા સંસ્થાને તેણે ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે તલવારો પૂજા માટે હતી. જે લોકો હથિયાર લઇને આવ્યા હતા તેમની પાસે લાઇસન્સ હતું. તલવારોનો ઉપયોગ લગ્નોમાં, પૂજાઓમાં, ધાર્મક અનુષ્ઠાનોમાં થતો હોય છે. હત્યામાં નહિ. જો કે બિટ્ટુએ યાત્રા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ભગવા વસ્ત્રોમાં દેખાયો હતો. અને તેમાં ‘ગોલી પે ગોલી ચલેગી, બાપ તો બાપ હી રહેગા’ ગીત વાગી રહ્યું હતું.










