
ભારતીય રીઝર્વ બેંકે 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદામાં વધારો કરતાં 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. હવે જે લોકો બેંકમાં 2 હજાર રૂપિયાની નોટ જમા નથી કરાવી શક્યા તેઓ માટે એક અઠવાડિયા સુધીની મુદતમાં વધારોક કરવામાં આવ્યો છે. જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી નથી શક્યા તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. 2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 ઓક્ટોબર, 2023થી તમામ બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 8 ઑક્ટોબર પછી, RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ રૂ. 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.
સેન્ટ્રલ બેંકે 30 સપ્ટેમ્બરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં કહ્યું કે તેણે સમીક્ષાના આધારે રૂપિયા 2 હજારની નોટ જમા કરાવવા માટે એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે ઉપાડની પ્રક્રિયાનો નિર્ધારિત સમય સમાપ્ત થવા દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની હાલની પ્રક્રિયાને 7 ઓક્ટોબર, 2023 સુધી જાળવી રાખવી જોઈએ. જેથી કરીને બીન નિવાસી ભારતીયો નોટ બદલવાનો સમય મળી શકે.
RBI એ 19 મે, 2023 માં 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને 30 સપ્ટેમ્બર, 2023 પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂપિયા 3.56 લાખ કરોડની રૂપિયા 2000ની નોટોમાંથી રૂપિયા 3.42 લાખ કરોડની નોટો બેન્કમાં પરત આવી ગઈ છે. અર્થાત બજારમાં આવેલી ચલણી નોટમાંથી 96 ટકા નોટ પરત બેંકમાં જમા થઈ ગઈ છે.
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતુ.