
પરિક્રમામાં ૧૨૦૦૦થી વધુ લોકોએ રૂટ પર પ્રાથમિક સારવાર લીધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૬ કિમી ના રૂટ પર વિવિધ સ્થળોએ ભાવિકો માટે સારવારની વ્યવસ્થા તબીબી સ્ટાફ અને દવાના જથ્થા સાથે રાખવામાં આવી છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પરીક્રમાર્થીઓની પ્રાથમિક સારવાર માટે હંગામી દવાખાના ભવનાથ જીણાબાવાની મઢી સુરજકુંડ પાસે તેમજ માળવેલા આ ઉપરાંત બોરદેવી અને અંબાજી ખાતે તેમજ સિવિલ હોસ્પિટલ દ્વારા ભવનાથમાં વધારે સારવારની જરૂરિયાત ઊભી થાય તો આઈ. સી. યુ. અને ઓક્સિજન સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. પરિકમાર્થીઓ રૂટ પર આ વ્યવસ્થા અંતર્ગત સારવાર નો લાભ લઈ રહ્યા છે.
પંચાયતના વિવિધ કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે રૂટ પર ૧૨,૦૦૦થી વધુ પરિક્રમાથીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં ૪૫૨ને તાવ, ૧૨૭ લોકોને ઝાડા, ૯૬ને ઉલટી, ૧૮ને વીંછીદંશ, ૬૭૯૨એ શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા તબીબી સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલના ભવનાથ ખાતેના નાકોડા સેન્ટરમાં એકને સર્પદંશ તેમજ દુઃખાવાની અને તાવ શરદી સહિતના દર્દીઓ સહિત આજે કુલ ૨૭ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.





