
આજે પણ આપણા દેશમાં લોકો માસિક ધર્મ વિશે ખુલીને વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે. એવી ઘણી વાતો આપણે સાંભળી છે અને જોઈ છે કે જ્યાં સ્ત્રીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અને જ્યારે તેઓ માસિકધર્મમાં હોય ત્યારે તેમની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવે છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે અને આ દિવસોમાં ધાર્મિક સ્થળો અને રસોડામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ઉત્તરાખંડના કાશીપુરમાંથી આવો હૃદય સ્પર્શી કિસ્સો સામે આવ્યો છે જે તમામ માતા-પિતા માટે બોધપાઠ સમાન છે.
આપણે જ્યારે પણ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સની વાત કરીએ છીએ કે તરત જ બાબા આદમના સમયની રૂઢિચુસ્ત વિચારસરણી સામે આવે છે. આજકાલ તો પણ શાળાઓમાં અને પરિવારમાં પણ આ વિષય પર ખુલીને વાત કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાખંડના કાશીપુરના એક પિતાએ પોતાની પુત્રીના પ્રથમ પીરિયડની ઉજવણી કરી છે. પિતાની આ વિચારસરણીની સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકોમાં પ્રશંસા થઈ રહી છે. પિરિયડના દુખાવાથી પીડાતી અન્ય દીકરીઓને પણ પિતાની આ વિચારસરણી પર ગર્વ છે.
ગીરીતલ કાશીપુરના રહેવાસી જિતેન્દ્રએ જણાવ્યું કે, તે મૂળ રૂપે ગામ ચાંદની બનબાસાનો રહેવાસી છે. તેમનો પરિવાર પણ અગાઉ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતો હતો. લગ્ન બાદ જ્યારે તેને તેની પત્ની દ્વારા આ વાતની જાણ થઈ તો તેણે આખા પરિવાર અને સમાજની વિચારસરણી બદલવાનો પ્રયાસ કર્યો. માસિક સ્રાવ એ અશુદ્ધિ નથી, તે એક કુદરતી પ્રક્રિયા છે અને જીવનનો આધાર છે.
તેમણે વિચાર્યું કે, જ્યારે તેની પુત્રીને પ્રથમ પિરિયડ્સ આવશે, ત્યારે તે તેને તહેવારની જેમ ઉજવશે. આ અંતર્ગત 17 જુલાઈના રોજ દીકરીના પ્રથમ માસિક ધર્મ પર એક સમારોહનું આયોજન કર્યું હતું અને કેક કાપીને ઉજવણી કરી હતી.
આ ઉજવણી દરમિયાન લોકોએ રાગિણીને ગિફ્ટમાં સેનેટરી પેડ આપ્યા હતા.રાગિણીએ કહ્યું કે, દરેક માતા-પિતાએ આ વિશે વિચારવું જોઈએ,પીરિયડ્સ આવવું સામાન્ય છે. જેમ કે મારા માતા-પિતાએ કેક કાપીને મારો પ્રથમ પિરિયડ ઉજવ્યો હતો,. હું મારા મિત્રો અને શાળાના વાલીઓને પણ આ અંગે જાગૃત કરીશ.
જિતેન્દ્રએ આ ઘટના સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો શેર કરી ચૂક્યા છે. મોટાભાગના લોકોએ તેમની આ પહેલની પ્રશંસા કરી છે. સ્ત્રીઓની સાથે પુરુષોએ પણ માસિક ધર્મ પ્રત્યે પોતાની વિચારસરણી બદલવાની જરૂર છે. દાદા હંસા દત્ત ભટ્ટ કહે છે કે, જૂના જમાનામાં સેનિટરી પેડ નહોતા. સ્ત્રીઓ કાપડનો ઉપયોગ કરતી. જેના કારણે તેમને મંદિરો અને રસોડામાં પ્રવેશવા દેવામાં આવતો ન હતો. આ ભેદભાવ હવે ઓછો થયો છે.










