લોકસભા ચૂંટણી વચ્ચે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગાંધી, આંબેડકર, કોમ્યુનિસ્ટ, લોહિયા અને મુસ્લિમોનો ઉલ્લેખ કરી ભાજપને મળતા મતો અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મોદી, રામ મંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓની યોજનાઓ છતાં અડધાથી વધુ હિન્દુઓ ભાજપને મત આપતા નથી. આ ચાર વિચારધારાવાળા હિન્દુઓ છે, જેઓ ભાજપને વોટ આપતા નથી.’
પ્રશાંત કિશોરે એક યુટ્યુબ ચેનલ સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે, ‘વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 38 ટકા મત મળ્યા હતા, જેમાં મુસ્લિમોએ મતદાન નહોતું કર્યું. દેશમાં હિન્દુઓની 80 ટકા વસ્તી છતાં ભાજપને માત્ર 38 ટકા મત મળ્યા હતા, તેનો અર્થ એ કે, અડધાથી વધુ હિન્દુઓએ ભાજપને મત આપ્યા નથી.’
તેમણે કહ્યું કે, ‘મુસ્લિમ હોવાના કારણે જો તમારે ભાજપ સામે લડવું હોય તો તમારે સમજવું પડશે કે, કયા હિન્દુઓ ભાજપને મત આપતા નથી. આ ચાર વિચારધારાવાળા હિન્દુઓ છે. ગાંધીમાં માનતા હિન્દુઓ ભાજપના હિન્દુત્વને માનતા નથી. આંબેડકરને માનનારા લોકો ભાજપની વિચારધારાને માનવા તૈયાર નથી. આ ઉપરાંત કોમ્યુનિસ્ટ વિચારધારાના હિન્દુઓ ભાજપને મત આપવા તૈયાર નથી. એટલું જ નહીં કેટલાક કોમ્યુનિસ્ટ સમાજવાદી લોહિયાને માનનારા લોકો ભાજપની વિચારધારાને માનવા તૈયાર નથી.’
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, ‘આ ચાર વિચારધારામાં માનનારા લોકોએ મુસ્લિમો સાથે મળી સામાજિક-રાજકીય ગઠબંધન કરવું જોઈએ અને તેમાંથી નવો વિકલ્પ ઊભો કરવો જોઈએ. તેમને સાથે લાવવાની જરૂર છે. ત્યારબાદ જ વિપક્ષ બનશે અને ભાજપ વિરુદ્ધ લડી શકાશે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ગાંધીની વિચારધારાને કોમ્યુનિસ્ટ, આંબેડકરવાદી, સમાજવાદ અને કોંગ્રેસી તમામે સ્વિકાર કર્યો છે. મુસ્લિમોએ કટ્ટરતા તરફ ન જવું જોઈએ અને તેમણે ગાંધીની વિચારધારાને અપનાવવી જોઈએ.’










