
તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના રતનપર અને ગવરીદડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર પહોંચ્યો હતો.લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી આ યાત્રાના પરંપરાગત રીતે વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી તથા ખાસ ટી.બી.સ્ક્રીનીગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન યોજાયા તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના સખીમંડળથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીશ્રી ક્રિષ્નાબેન નિમાવતે પોતાની કહાની રજૂ કરી હતી.

મહત્વનું છે કે,આ ગામોમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ બંને ગામો ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમિતાબેન ચાવડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી ભાવિષાબેન રાજાણી, અગ્રણી શ્રી જે.કે.પીપળીયા,રાજાભાઈ ચાવડા, નાગદાન ચાવડા, ગવરીદડના સરપંચ શ્રી બીનાબેન રાજાણી, રતનપરના સરપંચ શ્રી ઈન્દ્રજીતસિહ ઝાલા, તલાટી કમ મંત્રી શ્રી અમિત ડાંગર અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








