
તા.૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લાના જર્જરિત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીની સૂચના
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જ પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડામાં કામ કરનાર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ લોકોને નિષ્ઠાપુર્વક સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાના વાલી તરીકે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર વિકાસકામો થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના ૨૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં દબાણ દૂર કરવા, સીસીટીવી માટે ગ્રાન્ટ આપવા, સનદ, વારસાઇ એન્ટ્રી, ખેડુતો- સમાજને આપવાની થતી જમીન સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નોનું ઝુંબેશ સ્વરૂપે નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ જંત્રી રિસર્વે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની કામગીરી માટેની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. મંત્રીશ્રીએ હાલના ચોમાસામાં રાજકોટ રેડ એલર્ટમાં હોવાથી તંત્ર પૂરતું સાબદા રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના જર્જરીત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચરે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી વાવાઝોડા સંદર્ભે કચેરી કામગીરી અને વિકાસ કામો અંગેની માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, એસ.પી ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોર સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









