MORBIMORBI CITY / TALUKO

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

વાવાઝોડાને ગંભીરતાથી લઈ મંજૂરી નથી કે ટેન્ડર નથી

તેવી બાબતો ધ્યાને ન લઈ કોઈપણ કામગીરી અટકવી ન જોઈએ- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા અંતર્ગત નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા તેમજ તાલુકાના તમામ કંટ્રોલરૂમના નંબરની સાથે કોમન મોબાઈલ રાખી મોબાઈલ નંબર જારી કરવા સૂચના આપી હતી. આજ સાંજ સુધીમાં ફરજિયાત પણે રણમાંથી અગરિયાઓને તેમજ પોર્ટ પરના સ્ટાફને શિફ્ટિંગ કરવા જણાવ્યું હતું અને નવલખી પોર્ટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પણ પાર્ટ ઓફિસરને સૂચના આપી હતી. નાગરિકો માટે કંટ્રોલરૂમ નંબરની સાથે પોલીસ કંટ્રોલ રૂમના નંબર પણ અલગથી જારી કરવા જણાવ્યું હતું.

પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી તેમણે હજી ટીમો અને ટીમની અંદર માણસો વધારવા જણાવ્યું હતું. હાલ વાવાઝોડાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોઈપણ કામગીરી માટે મંજૂરી નથી કે ટેન્ડર નથી તેવી બાબતો ધ્યાને ન લેવા જણાવી તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ કામગીરી અટકવી ન જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવશે. ઉપરાંત બસો અને અન્ય વાહનો રિઝર્વ રાખવા એ.આર.ટી.ઓ.ને પણ સૂચના આપી હતી.

મોરબી પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રાએ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં શું શું પગલાં લેવાયા છે, બચાવ કામગીરી માટેની બોટ તેમજ તમામ સાધનો જનરેટર વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ તે ચેક કરવા જણાવી મોકડ્રીલ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં ફિસરીઝને અનરજીસ્ટર બોટ વેરીફાઈ કરવા, છાપરા વાળા તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોને શિફ્ટિંગ કરવા અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને સુચના આપી હતી.

નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, જિલ્લા તેમજ તાલુકો કક્ષાએ શરૂ કરેલા કંટ્રોલરૂમ, સંભવિત અસરગ્રસ્ત ગામો અને ત્યાંની વસ્તીની વિગતો, દરિયાકાંઠાથી ચારથી પાંચ કિલોમીટરના દાયરામાં આવેલા ગામોની સંખ્યા, ઉભા કરાયેલા આશ્રયસ્થાનો, સ્ટેન્ડ બાય રાખેલી બોટ તેમજ અન્ય બચાવ કામગીરીના સાધનો, સેવાભાવી સંસ્થાઓ તેમજ એસોસિએશન, જિલ્લામાં આવી ગયેલી એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમ, જિલ્લાના આપદા મિત્રો તેમજ વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલી હોડીંગ હટાવવાની, શિફ્ટિંગ, સર્ચ રેસ્ક્યુ કામગીરીની તૈયારી, પાણી તેમજ દવાનો સ્ટોક ઉપલબ્ધ કરવાની કામગીરી વગેરે બાબતોથી મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મંત્રીશ્રી સાથે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય. વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. સિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.સી. પરમાર, એ.આર.ટી.ઓ.શ્રી રોહિત પ્રજાપતિ સહિત જિલ્લાના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button