
તા.૧૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાળકોના વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ કરાશે
રાજકોટ જિલ્લામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સાથે જ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ૨૯ ટીમ તેમજ ૨૭૩ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા સમગ્ર જિલ્લાની ૧૭૮૦ શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જેમાં વજન,ઊંચાઈ, બી.એમ.આઈ., હિમોગ્લોબીન અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ બાળકનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબુદ કરવાની નેમ સાથે બાળકોના આરોગ્યની તપાસણી હવેથી દર ત્રણ માસે નિયમિત કરવામાં આવશે. બાળકના હેલ્થ કાર્ડમાં તેમની તમામ વિગતો સમયાંતરે અપડેટ કરવામાં આવશે. બાળકોના આરોગ્યની તપાસણી દ્વારા એનીમિક બાળકોનું સતત ફોલોઅપ લઈ તેમના કુપોષણને ઘટાડવા માટેના પગલાંઓ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે એમ આર.બી.એસ.કે. એમ. ઓ. ડો.વિદિતા સોરઠીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.