નવસારી: નોબેલ પ્રાઇઝ વિજેતા સર સી.વી.રામનની યાદમાં૨૮મી ફેબ્રુઆરીએ ઉજવાતો “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
મોબાઇલ ફોન મારફતે ઘરના ઓરડામાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે અથવા ગુલાબી કોબીજ, પીળા મરચાં કે લાલ મુળા જેવા શાક ખાવાના સમયે કે પછી હવે થનારા સૂર્યગ્રહણો અને બુલીન ધૂમકેતુની પૃથ્વી મુલાકાત વિષે સાંભળતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ? રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે જાગૃત થવા માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીએ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ડો. રામને અવકાશવિજ્ઞાન ક્ષેત્રની તેમની અદભૂત શોધ “રમન ઇફેકટ”નું સંશોધન તા. ર૮ ફેબ્રુઆરીએ કર્યું, ત્યાર બાદ બે વર્ષે તેમને આ શોધ બદલ દેશનું દ્વિતીય અને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનું પ્રથમ નોબેલ પ્રાઇઝ એનાયત કરાયું, ભારતના આ મહાન વિજ્ઞાન સપૂતની યાદગીરીમાં ર૮ ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” એક એવો દિવસ છે, જયારે સમગ્ર દેશમાં વિજ્ઞાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગતશાળા કોલેજોમાં કવીઝ સ્પર્ધા, વૈજ્ઞાનિક પ્રદર્શનો, ચર્ચાઓ, વ્યાખ્યાન શ્રેણીઓ વગેરે યોજવામાં આવે છે.
“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણીનો હેતુ એ છે કે વૈજ્ઞાનિક શોધોના વ્યવહારિક ઉપયોગોથી લોકો માહિતગાર બને, પ્રાયોગિક નિરીક્ષણો અને તે આધારિત તારણોથી વાકેફ થાય, તથા વિજ્ઞાનના માધ્યમ દ્વારા બૌઘ્ધિક અને માનસિક સજજતા વધે. પર્યાવરણમાં થતા ગ્લોબલ વોર્મિંગ જેવા ફેરફારો, રોગોની નાબૂદી, અવકાશ વિજ્ઞાન, ઉર્જા ઉત્પાદન, ઇન્ફર્મેશન ટેકનોલોજી, દવાઓ, બાયોટેકનોલોજીને પ્રતાપે જોવા મળતી પાક વૃધ્ધિ-આ તમામ બાબતો વિજ્ઞાનને આભારી છે, એ જનસામાન્યને સમજાવવાનો, એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો હેતુ છે.
વિજ્ઞાન વિષયથી ભાગવાને બદલે જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવે, તો કુરિવાજો, સામાજિક બદીઓ, અંધશ્રધ્ધા, સ્વાસ્થ્યસંબંધી અને કુપોષણ જેવા અનેક સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય, જે આપણા દેશના વિકાસની રાહમાં સૌથી મોટા અંતરાયો છે તેને દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ કેળવીને તંદુરસ્ત સમાજનું નિર્માણ શકય બનાવી શકાય છે.અને દેશના વિકાસની ધરોહર બની વિજ્ઞાન દિનની ઉજવણી થકી સમાજમાં જ્ઞાનની જયોત પ્રજવલિત કરી વિકાસના ઉચ્ચ શિખરો સર કરી શકાય છે.



