નવસારી: ચીખલીના ઘોલાર ગામે રૂા.૨ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ”હાટ બજાર”નું લોકાર્પણ કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે – નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ
રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ આજરોજ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર”નું રીબીન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાના ખેતરમાં કેરી, શાકભાજી મહેનત કરીને બનાવે છે અને વેપારીઓ સસ્તાભાવે ખરીદીને ઉંચાભાવે માર્કેટમાં વેચાણ કરે છે. જેથી ખેડૂતો પોતે સીઝનેબલ શાકભાજી, કેળા, કેરી વિગેરે ખેતરમાંથી સીધા આ હાટ બજારમાં વેંચીને સારો ભાવ મેળવી શકે છે. ઘોલાર ગામ તેમજ આજુબાજુના ગામોને આદિજાતિ વિભાગ દ્વારા રૂા.૨૦૦ લાખના ખર્ચે નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં હાટ બજારનો પ્રારંભ કર્યો હતો. આજે ગુજરાત દરેકક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી, ગુજરાત મોડેલ રાજય બની ગયું છે. મંત્રીશ્રીએ રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા આ હાટ બજારથી આદિવાસી વિસ્તારના ખેડૂતોને સારા ભાવો મળી રહેશે. આ વિસ્તાર બાગાયતી વિસ્તાર છે તેમ જણાવી ખેડૂતો બાગાયતી પાકોનું ઉત્પાદન કરી, આ હાટ બજારમાં વેચીને સારો લાભ મેળવી શકશે. આ હાટ બજાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘોલારા ખાતે નવા”હાટ બજાર”થી ઘોલાર ગામ તથા આજુબાજુના ગામડાઓના છેવાડાના લોકોને આનો લાભ મળશે. રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલ હાટ બજાર બિલ્ડીંગમાં ૭૯ જેટલી દુકાનો, ઓફિસ, મીટીંગરૂમ, સીકયુરીટી રૂમ, કેન્ટીન, ડિસ્પ્લે રૂમ, સ્ટેજ, સીકયુરીટી ગાર્ડ કવાર્ટસ, અલાયદા બોર સાથે પાણી પુરવઠા વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા તેમજ ઇલેકટ્રીફીકેશ તથા સ્ટ્રીટ લાઇટ સુવિધા વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્દુ સુરેશ, ચીખલી પ્રાંત અધિકારી શ્રી અમિત ચૌધરી સહિત પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં






