
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ કાર્યક્રમ એકઝામીનેશન હોલ, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ ઉપસ્થિત રહયાં હતાં. આ સાથે, જીલ્લાનાં અન્ય તાલુકાઓમાં પણ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫ થી સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તેઓશ્રીએ ખેડૂતો વધુને વધુ જાગૃત બની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ધરતીમાતાને ઝેરમુકત કરી ગુણવત્તાયુકત પાક લેવા જણાવ્યું હતું. રાજય સરકારે કૃષિ સુધારણાના અનેકવિધ સરહાનીય પગલાં લીધા છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયાં છે.
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે વિવિધ વિભાગો દ્વારા યોજનાઓ સહિત ખેતી ઉત્પાદનના સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું. જયાં યોજનાકીય લાભ સાથે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ વિષયક ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે, રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નું જીવંત પ્રસારણ હાજર સૌએ નિહાળ્યું હતું. સાથે, મહાનુભાવોના હસ્તે “મિલેટની વાનગીઓ” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતાં
<span;> આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નિલમબેન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી ડી. કે. પડાળીયા, પદાધિકારીઓ સહિત ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહયાં હતાં.



