JETPURRAJKOT

ગ્રીષ્મઋતુમાં ભગવાનને શીતળ ચંદનના કલાત્મક વાઘાના શણગાર બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરે અનોખું ભક્તિઅર્ઘ્ય અખાત્રીજથી એક મહિના સુધી ભગવાનને ચંદનના કલાત્મક વાઘાના શણગાર દર્શન

તા.૧૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભગવાનને શીતળ ચંદનના કલાત્મક વાઘાના શણગાર દ્વારા અનોખું ભક્તિઅર્ઘ્ય અપાઇ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે, ‘યથા દેહે, તથા દેવે’ એટલે કે આપણે આપણા જીવન દરમ્યાન જે કંઈ સુખ-સગવડ વધારીએ અથવા તો તેનો ઉપયોગ કરીએ તેટલું જ અથવા તેનાથી વિશેષ ભગવાનનું જતન કરવું જોઈએ. ગ્રીષ્મઋતુમા સૂર્ય પોતાની અગન જ્વાળાઓ વિસ્તારી રહ્યો છે.

થરમોમીટરના પારાને હચમચાવી નાખતી ગરમી વરસી રહી છે અને માણસો આકુળ-વ્યાકુળ થઇ રહ્યા છે, ત્યારે આ સમયમાં માણસ ગરમીથી બચવા એસી અને કુલરનો ઉપયોગ કરે છે તથા આઈસ્ક્રીમ અને કેન્ડી દ્વારા શરીરમાં આંતરિક ઠંડક કરે છે, ત્યારે ભગવાનને પણ ગરમી ન લાગે તે માટે હરિભક્તો અનેક ઉપચાર કરતા હોય છે.
અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મઋતુ દરમિયાન ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે સંતો ભકતો દ્વારા ચંદનના લાકડાં ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોળ એવું ચંદન ભગવાનને લગાડી ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે ભક્તો આ અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતિક છે. તે ધસાય છે, છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાનાં સદ્ ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ(અખાત્રીજ)થી લઇ જેઠ સુદ ત્રીજ સુધી એક માસ ભગવાનને ચંદનના વાધા પહેરાવવામાં આવે છે. જેના દર્શન કરી ભાવિકો ગ્રીષ્મઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે.

આ દિવસો દરમ્યાન સુર્યાસ્ત બાદ ભગવાનને ઘરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે અને યુવકો દ્વારા તે ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ નિત્યપૂજામાં તિલક કરવા માટે કરે છે, જેને કારણે ભગવાનનું પ્રસાદીભુત ચંદન સદાય તેમના ભાલે રહે છે અને પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે.
રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટ શણગાર પૂજારી સંતો પૂ.અધ્યાત્મજીવન સ્વામી, પૂ.અધ્યાત્મતિલક સ્વામી, પૂ.મુનિપ્રિય સ્વામી અને પૂ.ઉત્તમપુરુષ સ્વામી અને સંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તારીખ ૨૨ એપ્રિલથી ૨૨ મે સુધી એક માસ દરમ્યાન દરરોજ સવારે ૭:૪૫ વાગ્યે શણગાર આરતીથી સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી સુધી ભગવાનના ચંદનના કલાત્મક શણગારના દર્શન ભાવિકો કરી શકે છે. તો હજુ ૧૦ દિવસ સુધી ભગવાનના ચંદનના શણગાર દર્શન કરી આંતરિક શીતળતા પ્રાપ્ત કરવા રાજકોટની ભાવિક જનતાને હાર્દિક નિમંત્રણ છે.

[wptube id="1252022"]
Back to top button