
કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ
રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ, સૌની યોજના હેઠળ જિલ્લામાં વધુ તળાવો સાંકળવા, નવી આંગણવાડીની કામગીરી વગેરે મુદ્દાની ચર્ચા કરાઈ

જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના કેટલાક ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દુર કરવા, રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવા, દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ કરવું, શાળાઓમાં શિક્ષકોની ઘટ, હળવદના તળાવની સફાઈ કરવા સૌની યોજના હેઠળ જિલ્લામાં સર્વે કરી વધુ તળાવો સાંકળી લઈ ગામડાઓનું સિંચાઈ માળખું વધુ સુદ્રઢ બનાવવા, મોરબીમાં નવી ૧૮ આંગણવાડીની કામગીરીની સમીક્ષા વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








