જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એક પ્રગતિશીલ ખેડૂતનું એવોર્ડ દ્વારા સન્માનિત કરશે
એવોર્ડ માટે અરજી કરવા ઈચ્છતા સૈારાષ્ટ્રના ખેડૂતોએ તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા દર વર્ષે રજત જયંતિ એવોર્ડ આપી એક પ્રગતિશીલ ખેડૂતનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે સૂક્ષ્મ પીયત પદ્ધતિઓ દ્વારા ખેતીમાં મહત્તમ ઉત્પાદન માટે સૈારાષ્ટ્રના ખેડૂતોએ તા. ૩૧/૮/૨૦૨૪ સુધીમાં અરજી કરવી.
અખંડ ભારતના અજોડ શિલ્પી ખેડૂત સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ શતાબ્દી વર્ષ ૧૯૭૫ ની યાદ માં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્ર એ ૧૯૯૯-૨૦૦૦ નું વર્ષ રજત જયંતિ વર્ષ તરીકે ઉજવેલ છે. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને બહોળા પ્રમાણમાં ખેડૂતો આ કેન્દ્રનો લાભ લેતા થાય તેવા આશય થી સરદાર સ્મૃતિ કેન્દ્ર જૂનાગઢ રજત જયંતિ એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે.
સરદાર સ્મૃતિ કેન્દ્રની ખેડૂત અને ખેતી વિકાસની પ્રવૃત્તિઓથી થી તથા પોતાની આગવી સુઝ અને નવું અપનાવવાની સાહસવૃદ્ધિથી ઘણા ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે. આવી નવીનતમ તજજ્ઞતા અપનાવી વધુ ઉત્પાદનલક્ષી અભિગમ દાખવનાર અને તેના ફેલાવામાં સહાયરૂપ થનાર એક ખેડૂતને આ એવોર્ડ આપી તેનું બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
વર્ષ ૨૦૨૩-૨૪ નો વિષય સુક્ષ્મ પીયત પદ્ધતિઓ દ્વારા ખેતીમાં મહત્તમ ઉત્પાદન – આ એવોર્ડ સૌરાષ્ટ્ર વિસ્તાર (જૂનાગઢ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર,ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ , દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના કોઈ પણ ખેડૂતને આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ એવોર્ડ માટે અરજી કરવા ઇચ્છતા ખેડૂતો એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો, તેમજ તેમની નજીકની સ્વૈચ્છિક સંસ્થાની ભલામણ સાથે તા. ૩૧/૮/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે નિયત ફોર્મ અરજી કરવાની રહેશે. અરજીત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ www.jau.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી (માહિતી) સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ નો સંપર્ક કરવાનું વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.





