
તા.૧૮ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેળી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મુકવા માટે આવેલ ત્યારે બસમાંથી વિદ્યાર્થીની હજુ તો નીચે ઉતરી તે સાથે ડ્રાઇવરે બસ હંકારી મુકતા બસની ઠોકર લાગતા વિદ્યાર્થીની નીચે પડી ગઈ અને તેના બસના આગલા અને પાછલા બંને ટાયરો ફરી વળતા વિદ્યાર્થીનીનું ચગદાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નજીક આવેલ ફરેળી ગામે શ્રી સહજાનંદ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાપીઠ સ્વામિનારાયણ વિદ્યાપીઠ નામની સ્કૂલ આવેલ છે. આ સ્કૂલની બસ આજે સ્કૂલમાં બહારગામથી ઉપડાઉન કરતા વિદ્યાર્થીઓને તેઓના ગામ મુકવા માટે નીકળી હતી. જેમાં સ્કૂલથી પાંચ કિમી જેટલું દૂર આવેલ મોટા ગુંદાળા ગામે વિદ્યાર્થીઓને મુકવા માટે સ્કૂલ બસ ગામના પાદરમાં જ આવેલ પટેલ સમાજની વાડી પાસે રાબેતા મુજબ ઉભી રહી. અને બસના ચાલક દ્વારા વિદ્યાર્થીઓ હજુ ઉતર્યા કે નથી ઉતર્યા તે જોયા જાણ્યા વગર તરત જ બસ હંકારી મૂકી અને તે સાથે સ્કૂલની એક વિદ્યાર્થીનીને બસના આગળના ભાગની ઠોકર લાગે છે તે સાથે તેણી નીચે જમીન પર પડી જાય છે અને બસના આગલા અને પાછલા બંને ટાયરો તેણી પર ફરી વળે છે.

ગામના મુખ્ય ચોકમાં જ બનાવ બનતા લોકો તરત જ અકસ્માત સ્થળે દોડી જઇ વિદ્યાર્થીને ઉભી કરે છે અને બાજુના ઓટલા ઉપર બેસાડવાની કોશિષ કરે છે પરંતુ આગલા અને પાછલા તોતિંગ ટાયરો હેઠળ ચગદાઈ જવાથી વિદ્યાર્થીનું તરત જ સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું. અકસ્માત વિશે ગામના યુવાન કિશન કોટડીયાએ જણાવેલ કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે જ બન્યો છે અને ડ્રાઇવર અકસ્માત થયો તે સાથે બસની અંદર બેસેલ અન્ય વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યો કે કોઈ પૂછે તો એમ કહેજો કે વિદ્યાર્થીનીની ચક્કર આવી ગયા એટલે પડી ગઈ અને બસ હેઠળ આવી ગઈ.
અકસ્માત વિશે મૃતક વિદ્યાર્થીનીના કાકા અશોકભાઈએ જણાવેલ કે તેમની ભત્રીજીનું નામ કેશવી અરવિંદભાઈ અભંગી ઉવ 9 અને તેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેળીમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી. અને આ બનાવ સ્કૂલની બેદરકારી હોવાનો આક્ષેપ કરેલ કે સ્કૂલ સંચાલકોએ બસમાં ક્લિન્ડર એટલે ડ્રાઇવરને સૂચના આપે તેવો બીજો કોઈ કર્મચારી રાખેલ જ નથી.

મૃતક વિદ્યાર્થીની કેશવીને તેણીના પરીવારજનો પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલ લાવતા ફરજ પરના ડોકટર આકાશ ગેડિયાએ જણાવેલ કે, આ પોતાને આ અકસ્માત જેવુ લાગતું નથી શંકાસ્પદ મોત લાગે છે એટલે અહીં પીએમ નહીં થાય ફોરેન્સીક પીએમ કરાવો. અસંખ્ય લોકોની સામે અકસ્માત થયો અને સમગ્ર બનાવ પણ CCTV કેમેરામાં કેદ હોવા છતાં ડોકટરે આવી વાત કરતા પરીવારજનો આશ્ચર્ય પામ્યા અને ડોકટરની ફરીયાદ ધારાસભ્ય જયેશ રાદડિયાને કરતા ધારાસભ્ય હોસ્પીટલ પહોંચી ડોકટર પર બઘડાટી બોલાવી દીધી અને સુપ્રીમટેન્ડનો પણ ઉઘડો લઈ લીધો હતો. પોતાને ઘણા સમયથી ડોકટર વિરુદ્ધ ફરીયાદ મળી હતી કે કામ ન કરવાની નીતિને કારણે સામાન્ય મોતમાં પણ મોત પર શંકા દર્શાવી ફોરેન્સીક પીએમ રાજકોટનો જ અભિપ્રાય આપે છે. જેથી ડોકટર ગેડિયા વિરુદ્ધ વડી કચેરીમાં ફરજમાં બેદરકારીનો રીપોર્ટ કરવાનું હોસ્પીટલ અધિક્ષકને ધારાસભ્યએ સૂચના આપી હતી. ધારાસભ્યની દબંગગિરી બાદ ડોકટર મૃતક વિદ્યાર્થીનીનું પીએમ કરવા માટે તૈયાર થયા હતાં.








