આકાશવાણી રાજકોટના યજમાનપદે આકાશવાણીનાં મહાનિર્દેશકશ્રીની અધ્યક્ષતામાં પશ્ચિમ ક્ષેત્રના વડાઓની કોન્ફરન્સ યોજાઈ

તા.૧૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આકાશવાણીના કાર્યક્રમ, સેલ્સ અને સમાચાર વિભાગના રાજધાની વડાઓની પશ્ચિમ ક્ષેત્રની કોન્ફરન્સ આકાશવાણી રાજકોટના યજમાનપદે સયાજી હોટેલ ખાતે યોજાઈ હતી. આકાશવાણીનાં પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા રાજ્યોના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.

મહાનિર્દેશક સુશ્રી વસુધા ગુપ્તા, ઉપ મહાનિર્દેશક(આઈ.ટી.)શ્રી આર.પી.જોશી, પશ્ચિમ ક્ષેત્રનાં અધિક મહાનિર્દેશક (કન્ટેન્ટ) શ્રી વિશ્વનાથ કામ્બલીયાલ, દિલ્હીથી ઉપમહાનિર્દેશક (પ્રશાસન) શ્રી જીતેન્દ્ર અરોરા વગેરે અધિકારીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક શ્રી રાજુ યાજ્ઞિકે કર્યું હતું. આ કોન્ફરન્સમાં આકાશવાણીનાં વિવિધ કાર્યક્રમો, સમાચારો અને વિજ્ઞાપનને લગતી અનેક મહત્વની નીતિવિષયક બાબતોનું ચિંતન કરવામાં આવ્યું હતું. શ્રોતાઓ સુધી મનોરંજન, માહિતી અને સૂચનાઓ સુચારુ રૂપે પહોંચે તે માટે અનેકવિધ પ્રયત્નો અને ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટના કેન્દ્ર અધ્યક્ષશ્રી રમેશચંદ્ર, કાર્યક્રમ અધ્યક્ષશ્રી હિતેષ માવાણી, ઉપનિર્દેશક(એન્જિનિયરિંગ) શ્રી પ્રવીણ ભાંખોડિયા, પ્રશાસનિક અધિકારી શ્રી ભાવેશ ચૌહાણ, તમામ પાંચ રાજ્યોના વિવિધ વિભાગોનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ સેલ્સ અને કાર્યક્રમ વિભાગના અન્ય અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા તેમ આકાશવાણી રાજકોટની યાદીમાં જણાવાયું છે.








