જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્ટ (પ્રથમ પ્રકૃતિ) ના માધ્યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી
જૂનાગઢના યુવાનોએ છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ કરવા આજે ૧૦૮ સપ્તાહથી સતત પ્લાસ્ટિક મુક્ત અભિયાન કરી રહ્યા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નેચર ફર્સ્ટના યુવાનોની એક ટીમે છેલ્લા બે વર્ષથી દરેક રૂતુમાં મુંગા મોઢે જંગલ ખૂંદીને પ્રકૃતિની સેવા શરૂ કરી છે, નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૧૦૮ સપ્તાહથી દર રવિવારે પ્રકૃતિ પ્રથમ ના માધ્યમથી પ્રકૃતિ નું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાં ૧૦૮મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં હ્યુમનીટી ફર્સ્ટ ગ્રુપના સભ્યો તથા ગોપાલક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ નેચર ફર્સ્ટ ના યુવાનોએ મળી આ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે ૧૫૫ કિલો જેટલા પ્લાસ્ટિકનો જથ્થો જંગલ વિસ્તારમાંથી એકત્ર કરી તેનો નાશ કરાયો હતો.
તેમજ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવનાર ભરતભાઈ બોરીચા સહિતના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમો છેલ્લા ૧૦૮ સપ્તાહથી એટલે કે બે વર્ષ અને એક મહિનાથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અત્યાર સુધીમાં ગીરનાર જંગલ વિસ્તારમાંથી આશરે ૨૦ થી ૨૧ ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કર્યો છે.
તેમજ નેચર ફર્સ્ટના યુવાનોએ વધુમાં જણાવ્યુ હતું કે અમારા માટે “પ્રથમ પ્રકૃતિ” બીજું બધુ પછી એટલે જ અમે નેચર ફર્સ્ટના નામથી છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અમો સતત પ્રકૃતિનું જતન કરીએ છીએ, અને કરતા રહેશું અને પ્રકૃતિનું જતન કરી પ્રકૃતિની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમે દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માનીએ છીએ, જેના ભાગરૂપે ગીરનારના જંગલ વિસ્તારમાં અમોએ આજે ૧૦૮મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન હાથ ધર્યું હતું.