જુનાગઢ માહિતી કચેરી દ્વારા આયોજિત ‘મોબાઈલની માયાજાળ’ લઘુ નાટકના માધ્યમથી જનજાગૃતિલક્ષી સંદેશ

સ્વપ્ન યુવા વિકાસ મંડળની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયું લઘુનાટક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : સાંપ્રત સમયમાં સમાજમાં મોબાઈલના દુષ્પ્રભાવો વધ્યા છે. મોબાઈલની ઘણી વિપરીત અસરોના ગંભીર પરિણામો પણ સામે આવ્યા છે ત્યારે જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢે અભિનવ પહેલ કરી છે. મોબાઈલની નકારાત્મક અસરો સામે જનજાગૃતિ ઉભી થાય તે માટે ‘મોબાઈલની માયાજાળ’ શીર્ષક હેઠળ લઘુનાટક યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા જૂનાગઢની મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજ ખાતે આ નાટક યોજવામાં આવ્યું હતું.
સ્વપ્ન યુવા વિકાસ મંડળના હર્ષદ વાજા અને તેમની ટીમે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, ઓનલાઈન લોન ન લેવા કે, OTP તથા અન્ય બેન્કિંગ ડિટેઈલ ન શેયર કરવી, વીડિયો કોલ દ્વારા હનીટ્રેપ-બ્લેકમેલિંગ, વીડિયો ગેઈમ, લોભ લાલચ યુક્ત મેસેજીસ વગેરે બાબતોને રમુજી શૈલીમાં વણી લઈને લઘુ નાટક પ્રસ્તુત કર્યું હતું. ઉપરાંત આ પ્રકારના ઓનલાઈન ફ્રોડ વગેરે બાબતોમાં રાજ્ય સરકાર દ્વારા કેવી મદદ કે સેવાઓ મળે છે. તેની જાણકારી પણ આ નાટકના માધ્યમથી આપવામાં આવી હતી.
આમ, આ લઘુનાટક થકી મોબાઈલ દ્વારા ઓનલાઈન થતી છેતરપિંડી-ફ્રોડથી બચો અને માનવીય સંબંધોને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ તકે મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજના આચાર્યએ જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢની સાંપ્રત સમયને અનુરૂપ મોબાઈલના દુષ્પ્રભાવ પ્રભાવ અંગે જનજાગૃતિ ઉભી કરવાની પહેલને આવકારી હતી.
આ લઘુનાટકમાં સુરજ વાળા, એલિસ ધાનાણી, એશ્વર્યા વાઘેલા અને મોનિકા લાલવાણીએ અભિનયના ઓજસ પાથર્યા હતા.
આ લઘુનાટકને મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજના કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓએ માણ્યું હતું અને સાર્થક સંદેશ પ્રાપ્ત કર્યો હતો.





