વીજચોરો સામે તંત્રની લાલ આંખ : જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા
જુનાગઢ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ: છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
ગઈકાલે તા.૨૧-૧૦-૨૦૨૩ ના રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જુનાગઢ જિલ્લાની શહેર વિભાગીય કચેરી હેઠળની ગાંધીગ્રામ, સેટેલાઇટ, જીઆઇડીસી પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૧ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક તેમજ વાણિજ્યિક મળીને કુલ ૩૭૫ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૭૩ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૨૨.૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. આ રીતે તા. ૧૬.૧૦.૨૦૨૩ થી તા.૨૧-૧૦-૨૦૨૩ ના સપ્તાહ મા ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના વિસાવદર, ભેસાણ, જુનાગઢ, વંથલી, માણાવદર, મેંદરડા, વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૨૪૧૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૪૧૬ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૧૦૫.૮૫ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨3 થી સપ્ટેમ્બર-૨૩ ના સમયગાળા દરમિયાન જુનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૧૮૭૬૧ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૩૭૬૦ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૬૫૮.૯૦ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.