
મુખ્ય રાજમાર્ગો, સરકારી ઈમારતો, સહિતના ભવનો ઝળહળી ઉઠ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઊજવણી જૂનાગઢ શહેરમાં થઇ રહી છે ત્યારે જૂનાગઢ હવે નવલા સાજ સજીને જાણે કે, નવુગઢ બની રહ્યુ હોય તેમ ભાસી રહ્યુ છે. લોકોમાં જાણે કે દિવાળીનો માહોલ હોય તેવી પ્રતિતી થઈ રહી છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલીકાનાં સંયુક્ત ઉપક્રમે શહેરનાં મુખ્ય રાજમાર્ગો, સરકારી ઈમારતો અને બાગ બગીચાઓમાં સ્વચ્છતાની સાથો સાથ રોશની શરૂ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, મહાનગર સેવા સદન, મજેવડી દરવાજો, સરદાર પટેલ ગેઈટ, બહુમાળી ભવન, બસ સ્ટેશન, મનોરંજન અતિથીગૃહ, ટાઉન હોલ, માહિતી ભવન, શહેરનાં વિવીધ સર્કલો, રાજમાર્ગ અને નગરનાં બગીચાઓ જાણે કે, રોશનીથી ઝળાહળા થઇ ઉઠ્યા છે. લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો આનંદ છવાયો છે.
લોકો નાના ભુલકા સાથે પરિવારજનોને લઇને નગરની ચર્યા કરી રોશની નિહાળવા રાજમાર્ગો પર રાત્રીનાં ફરતા જોવા મળી રહ્યા છે. જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢવાસીઓને પ્રજાસત્તાકદીન પર્વ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા માટે આહવાન કર્યુ છે.





