
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 590 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓના કલેક્ટરઓને સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આહવા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધીમે ધારે વરસાદ જોવા મળી રહ્યો છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠે તેની અસર જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાની સાથે વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. તાપી સોનગઢ તાલુકાના છેવાડાના મલંગદેવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના સચાણા ગામની જેટી પર વરસાદી ઝાપટા પડ્યા બાદ જામનગર શહેરમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો થતાં વરસાદી માહોલ સર્જાયો હતો.
વલસાડ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ. જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ શહેરમાં પણ ભારે પવનને કારણે બેચર રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. જેથી રોડ પર પસાર થતું એક પરિવાર વૃક્ષ નીચે દબાયું હતું. જેના કારણે બે લોકોને ઈજા થઈ હતી.
વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે.










